દેશ-દુનિયા

આજે 1લી મેથી દેશમાં અનેક મહત્વપૂર્ણ નિયમો બદલાઈ ગયા છે,જાણો તમને શું થશે અસર ?

1 મે, 2025થી દેશમાં અનેક મહત્વપૂર્ણ નિયમો બદલાઈ ગયા છે, જેમનો સીધી અસર સામાન્ય લોકોના રોજિંદા જીવન અને ખિસ્સા પર પડશે. 1 મે, 2025 થી લાગુ થનારા ફેરફારોમાં LPG ગેસ સિલિન્ડરના ભાવ થી લઈને ATM માંથી પૈસા ઉપાડવા સુધીના નિયમોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, જાણો આજથી કયા નિયમો બદલાવા જઈ રહ્યા છે.

ATMમાંથી પૈસા ઉપાડવું થશે મોંઘું

1 મે, 2025થી ATM ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર થયો છે. હવે ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ બાદ દરેક વખતે પૈસા ઉપાડવા માટે ₹19નો ચાર્જ લાગશે, જે પહેલાં ₹17 હતો. ઉપરાંત, બેલેન્સ ચેક કરવા માટે પણ ફી ₹6થી વધારી ₹7 કરવામાં આવી છે.

LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર

દર મહિને પહેલી તારીખે ઓઈલ અને ગેસ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા આજે 1 મે, 2025 ના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹17 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે ડોમેસ્ટિક LPG ના ભાવ સ્થિર રહ્યા છે.

એક રાજ્ય, એક RRB યોજના અમલમાં

દેશના 11 રાજ્યોમાં 1 મેથી એક રાજ્ય, એક RRB યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાથી તમામ સ્થાનિક ગ્રામીણ બેંકોનું એકીકરણ થશે, જેના થકી ગ્રાહકોને વધુ સગવડ અને સુદૃઢ બેંકિંગ સેવા મળશે. આ યોજના ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં અમલમાં આવશે.

ATF, CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર શક્ય

દર મહિને CNG અને PNG સાથે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં પણ સુધારો કરવામાં આવે છે, તેમ 1 મેના રોજ તેમાં પણ બદલાવ થવાની શક્યતા છે. ATFના ભાવમાં વધારો હવાઈ મુસાફરી ખર્ચાળ બનાવી શકે છે, જ્યારે CNGના ભાવમાં ફેરફારનો સીધો અસર વાહનચાલકો પર પડશે.

રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં બદલાવ

હવે વેઇટિંગ લિસ્ટવાળી ટિકિટ જનરલ કોચ માટે જ માન્ય રહેશે. તમે સ્લીપર કોચમાં વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરી શકશો નહીં. આ ફેરફાર 1 મેથી અમલમાં આવ્યો છે.

મેમાં 12 દિવસ બંધ રહેશે બેંકો

મે મહિનામાં વિવિધ તહેવારો અને સાપ્તાહિક રજાઓને લીધે બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. આવી સ્થિતિમાં, મહત્વપૂર્ણ બેંકિંગ કામ માટે RBIની રજાઓની યાદી ચકાસીને યોજના બનાવવી યોગ્ય રહેશે. જો કે, ઓનલાઈન બેંકિંગ અને ATM સેવાઓ સતત ઉપલબ્ધ રહેશે.

FD અને બચત ખાતાના વ્યાજ દરમાં ઘટાડો

1 મેથી ઘણી બેંકો એફડી (FD) અને બચત ખાતા (Savings Account) પર વ્યાજ દરોમાં ઘટાડો કરી રહી છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા પછી, આ ફેરફાર કરાયો છે.

આ સમાચારને શેર કરો