હજારો માનવ મહેરામણ વચ્ચે આ વર્ષે પણ કનૈયો નહીં ફોડી શકે મટકી, નહીં થાય માનવ એક્તાના દર્શન
છેલ્લા બે વર્ષથી કોરોનાના કપરા કાળથી જન્માષ્ટમીના દ્રશ્યો જેવા કે શ્રીકૃષ્ણના રથના મુસ્લિમ સારથી કાસમ નહીં હોય રથ પર સવાર, વાલ્મિકી પરિવારના માતાના ભગવાનને લડાવવાના નહીં હોય લાડ જેવા દ્રશ્યો બનશે દોહ્યલાં
By રમેશ ઠાકોર -હડમતીયા
ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં વર્ષ આખાનો માનવ એક્તા સમો પર્વ જો કોઈ હોય તો તે છે “કૃષ્ણ જન્માષ્ટમી” જેમાં સર્વધર્મ સમભાવ વચ્ચે જ્ઞાતિ-જાતીવાદથી પર રહી વર્ષોથી ઉજવાતા આ તહેવારમાં ગામની માનવ એક્તાના દ્રશ્યો જોવા મળે છે.
આ વર્ષે પણ ભગવાનની રથયાત્રામાં વાલ્મિકી પરિવારની માતાના ભગવાનને લડાવવાના નહીં હોય લાડ, ભગવાનનો મુસ્લિમ સારથી કાસમ નહીં હોય રથ પર સવાર, ભગવાનના બાળ સ્વરુપ લાલજી મહારાજની પધરામણીની જાખી કરવતા ખુદ નાયબ પોલિસ અધિક્ષકના નહીં હોય
ઉપરાંત વ્હાલ જેવા અનેક નીચે મુજબના દ્રશ્યો બનશે દોહ્યલા તેમજ મટકીફોડ કાર્યક્રમમાં માનવીના હૈયે હૈયા દળાય છે ત્યારે ગામથી વિખુટા પડેલ મિત્ર સખાઓ, સહેલીઓ, બહેન-દિકરીઓ સાથે મળીને એકમેકની યાદોના સંભારણા વાગોળતા કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાની સાથે આનંદ કિલ્લોલ કરતા નહીં હોય દ્રશ્યો કે નહી હોય “નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી” ના જયઘોષ. તેનું ફક્ત એક જ કારણ છેલ્લા બે વર્ષથી ભારતવર્ષ પર પડેલા કાળમુખા કોરોનાના ઓછાયાના સોશ્યિલ ડિસ્ટન્સે માનવ માનવ વચ્ચેની દુરી બનાવી નાખી છે.
ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકારની ગાઈડ લાઈન ને અનુસરીને જન્માષ્ટમીના અવસર નિમિત્તે કનૈયો નહીં ફોડી શકે મટકી કે નહીં રમી શકે રાસ. આમ આ વર્ષે પણ ભગવાન કૃષ્ણ ભક્તોમાં નારાજગીની લીલા કદાચ ભગવાનની જ દેન હોય તો ના નહીં.
ચાલો ત્યારે જૂના દ્રશ્યો જોઈને યાદને કરીએ તાજી…