મોરબી

મોરબી: સીલીકોસીસ પીડીત સંઘે ફરી પડતર માંગણીને લઈને કલેકટરને રજુઆત કરી.

મોરબી: સીલીકોસીસ પીડીત સંઘ, મોરબીના સભ્યો કલેકટર ખાતે મોટી સંખ્યામાં પડતર માંગણીને લઈને રજુઆત કરવા પહોચ્યા હતા. સંઘે જાન્યુઆરીમાં નીચે મુજબની માંગણી રજુ કરી હતી. તે પૈકી ઓકસીજન કોંસ્ન્ટ્રેટરની વ્યવસ્થા કલેક્ટરની દખલને કારણે થઇ શકી. વળતર દાવા માટે મફત કાનુની સહાય માટે થોડી માથાકુટ પછી વકીલ ફાળવવામાં આવ્યા. તે સફળતાથી પ્રેરાઇને સંઘના સભ્યો બાકીની માગણીઓ માટે પણ કલેક્ટર હસ્ત્ક્ષેપ કરે તેવી આશા અને અપેક્ષાથી રજુઆત કરવા ગયા હતા. સંઘે રજુ કરેલ માગણીઓમાં મોરબી જીલ્લામાં મજુર અદાલત, મોરબી સીવીલમાં ફેફ્સાંના નીષ્ણાત તબીબની નીમણુંક કરવા બાબત, સીલીકોસીસ દર્દીઓને અંત્યોદય કાર્ડ કાઢી આપવા બાબત, અપંગોને મળતા લાભ સીલીકોસીસ દર્દીઓને પણ આપવા બાબત, સીરામીક એકમોમાં કારખાના કાયદાના ઉસ્ત અમલ બાબત રજુઆત કરી હતી

સંઘના સક્રિય સભ્ય સીલીકોસીસ દર્દી હરીશભાઈએ જણાવ્યું કે 7 જાન્યુઆરીએ સંઘના સભ્યો કલેક્ટરને રજુઆત કરવા ગયા હતા ત્યારે અમારી સાથે સાથી જગદીશભાઈ સોલંકી (ઉમર 42 વર્ષ) પણ હતા. કાળમુખો સીલીકોસીસ આ દરમીયાન એમને ખાઇ ગયો. તેમનું રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે તેમનું દુખદ અવસાન થયું. જગદીશભાઇ મોરબીના સીમ્પોલો સીરામીક સેનેટરીવેરમા કામ કરતા પરંતુ એમની પાસે ન હતું ઓળખ કાર્ડ કે ન હતી પગાર પાવતી કે ન હતા અન્ય કોઈ આધાર પુરાવા. હવે તેમનું કુટુંબ કર્મચારી વળતર ધારા હેઠળનો દાવો શી રીતે કરી શકશે? સંઘના મહીલા સભ્યે ફરીયાદ કરતાં જણાવ્યું કે મોરબીના ઔધ્યોગીક સલામતી અને આરોગ્ય અધીકારી અમારા જેવા મજુરોને કશી મદદ કરતા નથી.

મોરબી જીલ્લામા સીલીકોસીસ પીડીતોનો આંકડો 102 છે જે પૈકી 40 નો સીલીકોસીસનો ભોગ લીધો છે અને અન્ય બીજા જીવીત દર્દીઓને ઘરનું ગુજરાન કરવામા ફાંફા પડી રહ્યા છે. કલેક્ટરએ સંઘના સભ્યોને યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી અને સંઘના સભ્યો સાથે આગામી મહીનામાં મીટીંગ કરવાની પણ બાંહેધરી આપી છે.

આ સમાચારને શેર કરો