રફાળેશ્વર પાસે લૂંટ કરનાર બે સગીર ઝડપાયા

મોરબી : તાલુકા પોલીસ સ્ટે.ની હદમાં આવતા રફાળેશ્વર પાસે બે દિવસ પહેલા રીક્ષા ચાલક સહિત ચાર શખ્સોએ એક પરપ્રાંતીયને છરી બતાવી બાદમાં ઇજા કરી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી.

પરપ્રાંતીયની ફરિયાદને આધારે પોલીસે 1 શખ્સની અટકાયત કરી હતી જ્યારે એક આરોપીને રાહદારીઓએ જ ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે બે આરોપીઓ નાસી છૂટ્યા હતા જેની તપાસ કરતા બન્ને આરોપીઓ સગીરવયના હોવાનું સામે આવ્યું છે. બન્ને સગીરોની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગત બુધવારે રાત્રે આશરે 9 વાગ્યાના આસપાસ રફાળેશ્વર નજીક રિક્ષામાં સવાર ચાર શખ્સોએ 33 વર્ષીય સુનિલકુમાર રાજેન્દ્રપ્રસાદ ગૌતમ રહે. રફાળેશ્વર વાળાને હાથમાં છરી મારી 700 રૂપિયાની રોકડ તથા મોબાઇલની લૂંટ ચલાવી હતી.

બનાવ સ્થળ પર એકઠી થયેલી ભીડે રીક્ષા ચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે અન્ય ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. જે પૈકી એકને પોલીસે ગુરુવારે જ ઉઠાવી લીધો હતો. જ્યારે બનાવને અંજામ આપનાર બાકીના બેને ઝડપી લેવાતા બન્ને સગીર વયના (17 વર્ષની ઉંમરના) હોવાનું તપાસમાં ખુલ્યું છે.

આ સમાચારને શેર કરો