Placeholder canvas

ટંકારા તાલુકાની પ્રજાને ‘માઁ’ અમૃતમ કાર્ડ મળે તેમાં આરોગ્ય અધિકારીને જ રસ નથી.

By જયેશ ભટાસણા -વાંકાનેર
ટંકારા : લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને સમગ્ર જિલ્લાના ક્વોલિટી મેડિકલ ઓફિસર તરીકેનો ચાર્જ સાંભળતા આરોગ્ય અધિકારીનેજ ટંકારા તાલુકાની પ્રજાને સરકારની માં અમૃતમ કાર્ડની સુવિધા આપવામાં જરા પણ રસ ન હોય તેમ યોજના શરૂ થયાના 23 દિવસ બાદ પણ કીટ કે સ્ટાફ ન ફાળવતા ટંકારાની પ્રજા પરેશાન થઇ રહી છે..

આપણે ત્યા કહેવત છે કે મોસાળમાં જમણને માં પિરસનાર હોય એટલે કાઈ ધટે નહી. પરંતુ ટંકારા પરીસ્થિતી સાવ જુદી છે. ધણા વર્ષોથી તાલુકાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર હાર્દિક રંગપરીયા ફરજ બજાવી રહ્યા છે અને જીલ્લામાં ખાલી પડેલી ક્વોલિટી મેડિકલ ઓફિસરનો વધારાનો હવાલો પણ તેમની પાસે હોવા છતાં તેમના જ મૂળ તાલુકાની પ્રજાને રામભરોસે મુકી છે.

સરકાર દ્વારા તમામ લોકોના આરોગ્યની ચિંતા કરી સરકારી દવાખાનામાંથી જ માં અમૃતમ યોજનાના કાર્ડ નીકળે તે માટે 1 જૂનથી વ્યવસ્થા ગોઠવી છે અને આ વ્યવસ્થા ડો.રંગપરીયા જ સાંભળતા હોવા છતાં જૂન માસના 23 દિવસ વીત્યા બાદ પણ તેઓ જે તાલુકામાંથી પગાર મેળવે છે ત્યાં ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કીટ અને સ્ટાફને તાલીમ નહી આપતા ગરીબ પ્રજા નિસાસા નાખી રહી છે.

આ સંજોગોમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતની અમલવારી ટંકારામા શરૂ થવા સામે પ્રશ્નાર્થ સર્જાયા છે. આ મામલે જવાબદાર અધિકારી ડો. રંગપરીયાને ફોન કરતા ગોળગોળ જવાબ આપી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. અને સ્ટાફની કમીનું બહાનું આગળ ધરી આગામી મહિનાથી માં અમૃતમ યોજનાની કામગીરી શરૂ થશે. તેમ જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો