Placeholder canvas

ભગતસિંહ ક્રાંતિદળનું પ્રથમ અધિવેશન 19-20 જૂને ચોટીલામાં

શહિદ ભગતસિંહને ભારત રત્નનો ખિતાબ એનાયત થાય તે હેતુથી ગુજરાતના 25 થી વધુ યુવાનોએ સોમનાથ થી દિલ્હી સુધી” રન ફોર ભગતસિંહ” બેનર હેઠળ 2200 કિ.મી. સાયકલ યાત્રાનું આયોજન કરી પાંચ રાજયના એક લાખ લોકોની સહીઓ સાથે રાષ્ટ્રપતિને આવેદન આપી એક રાષ્ટ્રવાદી અભિયાનની શરૂઆત કરી હતી,

આ અભિયાન ને ફરી લોકો વચ્ચે લઇ જઇ શહિદ ભગતસિંહ ની માનવતાવાદી – રાષ્ટ્રવાદી વિચારધારા થી જનતા અવગત થાય અને દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહિદોને યાદ કરે તે હેતુથી ભગતસિંહ ક્રાંતિ દળ નું પ્રથમ અધિવેશન આગામી 19 – 20 જૂનના રોજ ચોટીલા ખાતે મળી રહ્યું છે.

“રન ફોર ભગતસિંહ” અભિયાનના પ્રણેતા અને ભગતસિંહના વિચારો ને છેલ્લા ઘણા વર્ષોથી લોકો વચ્ચે લઇ જવાનું કાર્ય કરી રહેલા જિજ્ઞેશ કાલાવડિયાના જણાવ્યા અનુસાર “ભગતસિંહ ક્રાંતિ દળ”ને બિનરાજકીય અને ક્રાંતિકારી સંગઠન તરીકે સ્થાપિત કરવામાં આવશે. ભગતસિંહ ક્રાંતિ દળ નો કોઈ પણ પ્રકારનો રાજકીય ઉદ્દેશ્ય નથી,માત્રને માત્ર ભારતના નાગરિકો માં રાષ્ટ્રવાદી અને માનવતાવાદી વિચારધારાને સ્થાપિત કરવાના હેતુસર આ સંગઠનની સ્થાપના કરવામાં આવી રહી છે જે આગામી સમયમાં વિવિધ ક્ષેત્રમાં લોકજાગૃતિનું કામ કરશે તથા નાગરિક અધિકાર અને નાગરિક ઘડતર ના વિષયો પર કાર્યરત રહેશે.

ચોટીલા ખાતે આયોજિત આ બે દિવસના અધિવેશનમાં “ભગતસિંહ ક્રાંતિ દળ” ની વિધિવત સ્થાપના કરી તેના બંધારણ નો સ્વિકાર કરવામાં આવશે તથા આગામી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સંગઠન નો પ્રાથમિક ઉદ્દેશ્ય માત્ર ને માત્ર શહિદ ભગતસિંહને “ભારત રત્ન”નો ખિતાબ એનાયત થાય તેવો હોય તે દિશામાં યુવાનોને સાથે રાખીને એક રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે.

“ભગતસિંહ ક્રાંતિ દળ”ના પ્રથમ અધિવેશન ને સફળ બનાવવા માટે હાર્દિક ભારતીય, આઝાદ જાદવ, હેમંત ચાંનપા, સમ્રાટ બૌદ્ધ, જય ભારતીય, દર્શિત પટેલ, પુનાભાઈ વકાતર, નિકુંજ સાપરીયા, રાહુલ ધોણીયા, વિક્રમ પરમાર સહિતના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો