Placeholder canvas

ચોટીલાના નાવાગામ પાસે જીપના ડ્રાઇવર સાથે ભાડા બાબતે રકઝક થતાં ઇંટ મારી હત્યા કરી નાંખી !

ચોટીલા તાલુકાનાં નાવા ગામ પાસે જીપ ચાલક યુવાનની ભાડા બાબતે રકઝક થતા મુસાફરોએ ઈંટનો ઘા મારી હત્યા કરી નાંર્ખી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. યુવાનનું મોત થતાની સાથે હુમલાખોર શખ્સો નાસી ગયા હતાં. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મુળ ચોટીલા તાલુકાનાં ઝીંઝુડા ગામનાં અને હાલ કુવાડવા ગામે રહેતા હેમુભાઈ ઘુઘાભાઈ સોલંકી અને તેમનો ભાઈ દેવરાજ ધુધાભાઈ સોલંકી બોલેરો પીકઅપ ગાડી લઈને તરણેતરનાં મેળામાં પેસેન્જર માટે ગયા હતા. મેળામાંથી પેસેન્જર ભરીને ચોટીલા આવવા નીકળ્યા હતા. ત્યારે દેવરાજ ગાડી ચલાવતો હતો. જ્યારે હેમુભાઈ પાછળ ઠાઠામાં ઉભા હતા. દરમ્યાન થાનગઢથી રાજકોટ જીલ્લાના નવાગઢ ગામનાં વિજયભાઈ, નરેશભાઈ રમેશભાઈ સોલંકી અને જશીબેન નરેશભાઈ સોલંકીને મુસાફર તરીકે થાનગઢથી બેસાડયા હતા અને ચોટીલા જવા નીકળ્યા હતા. થાનગઢથી બેઠેલા પેસેન્જરો વિજયભાઈ, નરેશભાઈ અને જશીબેન અન્ય મુસાફરો સાથે રકઝક અને ઝગડો કરતા હોવાથી હેમુભાઈએ રસ્તામાં નાવા ગામ પાસે ગાડી ઉભી રખાવી ત્રણેયને નીચે ઉતારી ભાડુ માંગ્યુ હતું.

જેથી ઉશ્કેરાયેલા આરોપીએ હેમુભાઈ અને દેવરાજભાઈને માર મારવાનું શરૂ કર્યુ હતુ. જેમા વિજય નામના શખ્સેે હાથમાં ઈંટ લઈ દેવરાજભાઈના માથામાં ઘા મારતા ગંભીર ઈજા થવાથી દેવરાજભાઈ (ઉં.વ-35)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. ત્યારે હુમલાખોર શખ્સો નાસી ગયા હતા. દરમિયાન દેવરાજભાઈને ચોટીલા હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. આ અંગે મૃતકનાં ભાઈ હેમુભાઈ ઘુઘાભાઈ સોલંકીએ ચોટીલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો