ગુજરાત

ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં TATજ સર્વસ્વ, અન્ય શૈક્ષણિક લાયકાતના માર્ક્સ ગણાશે નહિ.

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ.9થી 12ના શિક્ષકની ભરતી માટે શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર કર્યાં છે. નવા નિયમો મુજબ હવે પછીની હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં ટિચર એપ્ટિટયૂડ ટેસ્ટ (TAT) જ સર્વસ્વ ગણાશે, અન્ય તમામ શૈક્ષણિક લાયકાતના માર્કસ આઉટ કરી દેવાયા છે.

અત્યાર સુધી શિક્ષક ભરતીના કુલ 100 ટકા મેરિટમાં ટાટનાં 70 ટકા અને શૈક્ષણિક લાયકાતના 30 ટકા ગણવામાં આવતાં હતા. જોકે હવે ટાટ જ સર્વસ્વ કરાતાં સ્નાતક, અનુસ્નાતક, બીએડ, એમએડના માર્કસની મેરિટમાં કોઈ જ ગણતરી કરવામાં નહીં આવે.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક અને આચાર્યની ભરતી માટે વર્ષ-2011માં ટાટની પરીક્ષા અમલમાં મૂકી હતી. ટાટની પરીક્ષા આવતાં 11 ડિસેમ્બર-2011ના રોજ શિક્ષણ વિભાગે શિક્ષક અને આચાર્યની પસંદગી કરવા માટેના કુલ 13 પેજમાં નિયમો જાહેર કર્યાં હતા, જેમાં 70 ટકા માર્કસ ટાટ પરીક્ષાના અને 30 ટકા માર્કસ અન્ય શૈક્ષણિક લાયકાતના ગણવામાં આવતાં હતા. એ મુજબ અત્યાર સુધીની તમામ ભરતી હાથ ધરાઈ હતી. જોકે ગત વર્ષે શિક્ષણ વિભાગે ટાટની પરીક્ષામાં ફેરફાર કરી દ્વિસ્તરીય પદ્ધતિ લાગુ કરી અને એ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ લેવામાં આવી હતી. પરીક્ષામાં ફેરફાર કરવાની સાથે ભરતીમાં પણ નિયમો બદલવા અંગે છેલ્લા ઘણા સમયથી વિચારણા અને કામગીરી ચાલતી હતી. જે અન્વયે આજે 1લી ઓગસ્ટના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં સૌથી અગત્યની અને મહત્વની બાબત એ છે કે, હવે પછીની શિક્ષકની ભરતીમાં માત્ર ટાટના જ માર્કસ ગણવામાં આવશે. એ સિવાયની શૈક્ષણિક લાયકાતના માર્કસ ભરતીના મેરિટમાં નહી ગણાય.

શિક્ષકની ભરતીમાં અત્યાર સુધીમાં 30 ટકા વેઈટેજ શૈક્ષણિક લાયકાતનું આપવામાં આવતું હતુ. આ દરમિયાન ખાનગી બીએડ કોલેજો અને કેટલીક યુનિવર્સિટીઓમાં ઊંચી ટકાવારાની દુકાનો શરૂ થઈ હતી. જેમ કે, ગુજરાત યુનિ.ના સ્નાતક, અનુસ્નાતક, બીએડ અને એમએડનું પરિણામની સરખામણીએ અન્ય યુનિવર્સિટીઓનું પરિણામ સરખાવવામાં આવે તો ઘણો તફાવત જોવા મળતો હતો. આથી આ સંજોગોમાં ટાટમાં સારા માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો. ઉમેદવારોને પૂછતા જાણવા મળ્યુ છે કે, ઘણી બીએડ કોલેજોમાં પ્રવેશ વખતે જ ટકાવારી નક્કી થઈ જતી અને એ મુજબના નાણાં ચૂકવવાના રહેતા હતા. આવા ટકાવારી વહેંચતી યુનિ.ઓ અને કોલેજનો ધંધો પડી ભાંગશે.

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ. મા. શાળાના જૂના શિક્ષકોની ભરતી માટે પણ નવા નિયમો જાહેર કરાયા છે. હવે માત્ર શૈક્ષણિક ફરજના અનુભવને જ ગણાશે. અત્યાર સુધી ટાટ પરીક્ષા ફરજિયાત હતી, એ નિયમ હટવાયો છે. જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળશે. જૂના શિક્ષકની ભરતી માટે ઉમેદવારના અનુભવના આધારે મેરિટ તૈયાર કરી શાળા ફળવણી કરાશે. જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. જૂના શિક્ષક માટે ગ્રાન્ટેડ સ્કૂલમાં પાંચ વર્ષનો અનુભવ હોય અને હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષકો અરજી કરી શકશે.

આ સમાચારને શેર કરો