મોરબી

મોરબીમાં રસ્તાના વિવાદમાં વેપારી પર પથ્થરમારો: પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ

સનાતન ગ્રામ સોસાયટીના રસ્તે ચાલવા બાબતે બોલાચાલી બાદ હુમલો: ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી

મોરબી: મોરબીના આર્યગ્રામ સોસાયટી વિસ્તારમાં રસ્તાના ઉપયોગ મામલે સર્જાયેલો વિવાદ હિંસક બનતા વેપારી પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. સનાતન ગ્રામ સોસાયટીના રસ્તે ચાલવા બાબતે ઉશ્કેરાયેલા પાંચ શખ્સોએ વેપારીને ગાળો આપી પથ્થરમારો કરી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પંચાસર રોડ પરની રાજનગર સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા મુકેશભાઈ ગોવિંદભાઈ પારેજીયા (ઉ.વ.૫૩) સોમવારે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મુકેશભાઈ અને તેમના સાથીઓ સનાતન ગ્રામ સોસાયટીમાં જવા માટે આર્યગ્રામ સોસાયટીના ગેટ બહારથી પસાર થતા રસ્તાનો ઉપયોગ કરતા હતા. આ બાબતે આરોપીઓએ તેમને રસ્તા પર ચાલવાની ના પાડી વિવાદ શરૂ કર્યો હતો.

આરોપીઓ દ્વારા પથ્થરમારો અને ધમકી
ઝઘડા દરમિયાન આરોપીઓ ચિરાગભાઈ ધરમસીભાઈ વડસોલા, ડો. જયશુખભાઈ કાનજીભાઈ પનારા, કોમલબેન જયશુખભાઈ પનારા, અલ્પાબેન ચિરાગભાઈ વડસોલા અને રાકેશભાઈ કાંતિભાઈ મેરજાએ એક સંપ થઈને ફરીયાદીને બિભત્સ ગાળો આપી હતી. આ દરમિયાન આરોપી ચિરાગભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છૂટા પથ્થરના ઘા મારતા ફરિયાદીના ડાબા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી.

આ સમગ્ર મામલે મુકેશભાઈ પારેજીયાની ફરિયાદના આધારે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં રસ્તા બાબતે બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચારને શેર કરો