Placeholder canvas

વાંકાનેર: સિંધાવદર ગામ હવે રહેશે સાફ…

હવે ગામમાંથી કચરો થઈ જશે સાફ…

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના ગામોને સ્વચ્છ રાખવા તેમજ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી તેને ડસ્ટીંગ સ્ટેશને લઈ જઈને યોગ્ય નિકાલ કરી શકાય તે હેતુથી મોરબી જિલ્લાના ૧૫ ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત દ્વારા એક-એક ટ્રેકટર અને ટ્રોલી ફાળવવામાં આવ્યા છે. જેમાંથી આજે ૧૦ ગ્રામ પંચાયતને ટ્રેકટર-ટ્રોલી અર્પણ કરવામાં આવ્યા હતા.

જે પૈકી વાંકાનેર તાલુકાના ચંદ્રપુર, સિંધાવાદર, ભાયાતી જાબુંડિયા, મોરબી તાલુકાના ધનુડા, ટંકારા તાલુકાના છતર, હળવદ તાલુકાના રમણલપુર અને માનગઢ, માળિયા તાલુકાના જુના ઘાટીલા, તરઘરી, કુંતાસી એમ મળી કુલ ૧૦ ગ્રામ પંચાયતોના ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ટ્રેક્ટર ટ્રોલીની ફાળવણી કરવામાં આવી છે. ૧૫ મું નાણાપંચ વર્ષ- ૨૦૨૨-૨૩માં જિલ્લાની ૧૦% ગ્રાન્ટમાંથી ૬૭ લાખ ૫૦ હજારના ખર્ચે મોરબી જિલ્લાના ૧૫ ગ્રામ પંચાયતને ટ્રેકટર-ટોલી ફાળવવામાં આવ્યા છે જેનું જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ ટ્રેક્ટર સિંધાવદર ગામ ખાતે આવ્યું, ત્યારે આજે આ ટ્રેક્ટરનું લોકાર્પણ સિંધાવાદર ગામઆ પૂર્વ સરપંચ તેમજ તીથવા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને મોરબી જિલ્લા પંચાયતના પ્રથમ કારોબારીના પૂર્વ ચેરમેન યુસુફભાઈ શેરસિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ ઇસ્માઈલભાઈ આઈએમપી, ગામના અગ્રણી અબાસભાઈ શેરસિયા, ગુલામભાઈ પટેલ,, અલી હાજીસાહેબ, યુનુસભાઈ પરાસરા તેમજ ગામના અન્ય આગેવાનો અને વડીલો હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ સિંધાવદર ગ્રામ પંચાયતને ગામનો કચરો ઉપાડવા માટે ઈલેક્ટ્રીક રીક્ષા મળી હતી અને હવે નાનું ટ્રેક્ટર ટ્રોલી સાથે મળતા ગામનો કચરો ગામની બહાર થઈ જશે અને સિંધાવદર ગામ સાફ, સુતરું અને ચોખ્ખું રહેશે… સરકાર તરફથી મળેલા આ સાધનોની જળવણી સાથે ગામમાં સફાઈ માટે મહત્તમ ઉપયોગ કરીને ગામમા સ્વચ્છતા જળવાશે.

આ સમાચારને શેર કરો