વાંકાનેર નગરપાલિકાની બિનકાર્યક્ષમતા અને ભેદભાવ ભર્યા વર્તન બાબતે પ્રાદેશિક કમિશનર સમક્ષ વિરોદ્ધ પક્ષની ગંભીર રજૂઆતો

વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભા તા. ૮/૪/૨૦૨૫ ની કાર્યવાહી વિરુદ્ધ વિરોધપક્ષ કોંગ્રેસના સદસ્યો દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ ૨૫૮ હેઠળ પ્રાદેશિક કમિશનર- નગરપાલિકાઓ – રાજકોટ ઝોન સમક્ષ કેસ દાખલ કરતા તા. ૨૦/૫/૨૦૨૫ ના રોજ પ્રથમ મુદ્દત પડ્યે, નગરપાલિકા તરફથી ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાએ લેખિત અને મૌખિક જવાબો રજૂ કર્યા હતા, તેમજ સાધારણ સભાની કથિત વીડિયોગ્રાફીની કેસેટ રજૂ કરી હતી.

સમા પક્ષે વિરોધપક્ષ તરફથી નગરપાલિકાના સદસ્યો જાગૃતિબેન ચૌહાણ – પ્રમુખ વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસ, એકતાબેન ઝાલા, કુલસુમબેન તરિયા, જલ્પાબેન સુરેલા, અશરફભાઈ ચૌહાણ તથા વિરોધપક્ષના નેતા મહંમદભાઈ રાઠોડે લેખિત જવાબ તથા મૌખિક રજૂઆતો કરી હતી. ત્યારે પ્રાદેશિક કમિશનરે વ્યસ્ત સમયના કારણે ત્યારે વિડીયોગ્રાફી જોઈ ન હતી અને આગામી મુદ્દતે વધુ પુરાવાઓ રજૂ કરવા બંને પક્ષોને સૂચના આપી હતી.

અત્રે કોંગ્રેસનો આક્ષેપ છે કે વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભાની વીડિયોગ્રાફી થઈ નથી અને જે કેસેટ આપવામાં આવી છે તે સીસીટીવીની અવાજ વિહોણી વિડીયોગ્રાફી હશે. જેની નકલ હજુ સુધી કોંગ્રેસના નગરપાલિકાના સદસ્યોને પ્રાપ્ત થઈ નથી.

વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભા બજેટ બેઠક હોઈ, તેના એજન્ડાના મુદ્દા નં. ૪ માં ફેક્સ મશીન સર્વિસ કરાવવા, ફેક્સ રોલ ખરીદવાના ખર્ચ તથા બહારથી ઈમેઇલ કરાવવાના ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. જે આજના આધુનિક સમયમાં ફેક્સ મશીનો આઉટડેટેડ થઈ ચૂક્યા છે તથા ઈમેઈલ કરવાનો ખર્ચ થતો નથી. તેમજ નગરપાલિકા દ્વારા વાંકાનેર શહેરના પ્રશ્નો બાબતે રજૂઆત ન કરવા દેવાતા અને ફક્ત બે મીનિટમાં સાધારણ સભા પુરી કરી દેવાતા, આ મુદ્દાઓ સાથે ઉપરોક્ત કેસ નં. ૦૯/૨૦૨૫ દાખલ કરવામાં આવેલ છે.

ઉપરાંત વિરોધપક્ષ કોંગ્રેસના વાંકાનેર નગરપાલિકાના સદસ્યો દ્વારા પ્રાદેશિક કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે કે, નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા તેમની લોકપ્રશ્નોની રજૂઆત બાબતે કિન્નાખોરી ભર્યું વર્તન દાખવીને તે પ્રશ્નોએ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે વાંકાનેરના નાગરિકોના કાર્યો થતા નથી.

વાંકાનેરમાં પાછલા લાંબા સમયથી અનિયમિત પાણી આપવામાં આવે છે તેમજ આ પાણી ખુબજ દૂષિત અને દુર્ગંધ વાળું હોય છે. જેના કારણે નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસરની ભીતિ ઉભી થઈ છે. વાંકાનેરમાં આગ લાગે ત્યારે ફાયર ફાઈટરની સુવિધા નથી, શહેરમાં ઘણા સ્થળોએ ભૂગર્ભ ગટર ઉભરાતી હોઈ ગંદકીનું સામ્રાજ્ય છવાય છે, જેની રજુઆતો છતાં કાર્યવાહી થતી નથી. વાંકાનેરના હાર્દ સમા વિવેકાનંદજી સ્ટેચ્યુથી દાણાપીઠ ચોક સુધીનો અતિબિસ્માર રસ્તો બનાવાતો નથી. રાજકોટ રોડથી પતાળીયા વોંકળા સુધી આજ દિવસ સુધી સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી નથી. વારંવારની રજૂઆતો નો પણ અમલ થતો નથી.

કોંગ્રેસના સદસ્યો દ્વારા રજુઆતો વેળા પ્રજાના પ્રશ્નો રૂબરૂ આવીને નગરપાલિકા કચેરી ખાતે લેખિતમાંજ રજુઆત કરવાનો કર્મચારીઓ આગ્રહ રાખે છે, સદસ્યોના ફોન કર્મચારીઓ ઉપાડતા નથી. આ રજુઆતો પ્રાદેશિક કમિશનર સમક્ષ કરવામાં આવી છે.

તદઉપરાંત વાંકાનેર શહેર નજીકના ઓજી વિસ્તાર એટલેકે સિટી તલાટી હેઠળ આવતા રેવેન્યૂ બિનખેતી રહેણાંક સોસાયટીઓમાં પાણી, ભૂગર્ભ ગટર, સાફ-સફાઈ, સ્ટ્રીટ લાઇટ, રોડ-રસ્તા સહિતની પાયાની સુવિધાઓ પુરી પાડવાની જવાબદારી નગરપાલિકાની છે. વાંકાનેર શહેર નજીક આવી આશરે ૨૬ થી વધારે સોસાયટીઓ છે. પરંતુ નગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી. પાછલા એક મહિનાથી ગુલાબનગર અને આશિયાના સોસાયટીનું પાણી નગરપાલિકા દ્વારા બંધ કરી દેવાતા, કોંગ્રેસની રજૂઆત બાદ પાછલા ૧૫ દિવસથી ગુલાબનગર ખાતે પ્રાંત અધિકારી દ્વારા ટેન્કર મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સદસ્યોએ આ વિસ્તારને વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં સમાવવા સરકાર સમક્ષ માંગણી કરેલ છે. જેથી આ વિસ્તારના નાગરિકોને પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર, સાફ-સફાઈ સહિતની પાયાની સુવિધાઓ મળી રહે.

આ સમાચારને શેર કરો