Placeholder canvas

વાંકાનેર:બસ સ્ટેશન પાસે થયેલ ઝઘડામાં કલમ 307નો ઉમેરો કરાયો.

વાંકાનેર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે ત્રણ-ચાર દિવસ પૂર્વે મુસ્લિમ યુવાનને ભરવાડ શખ્સ દ્વારા ગાળો આપવામાં આવી હતી જેથી કરીને તે બાબતે સમજાવવા માટે ગયેલા વ્યક્તિઓને નવ શખ્સોએ પાઇપ અને લાકડી વડે માર માર્યો હતો. ઈજા પામેલા એક વ્યક્તિને રાજકોટ સારવાર માટે લઇ ગયા હતા અને તેને થયેલ ઇજાના રિપોર્ટને ધ્યાને લઈને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નવ શખ્સોની સામે જે ફરીયાદ નોંધાઈ હતી. તેમાં 307 (હત્યાના પ્રયાસની) કલમનો ઉમેરો કરવામાં આવેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નંબર-૩ ની અંદર રહેતા જાકીરહુસૈન મોહસીનભાઈ બ્લોચએ ત્રણ દિવસ પહેલા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બીજલભાઈ ગાંડુભાઈ ડાભી, જયદીપ ગાંડુભાઈ ડાભી, ગાંડુભાઈ રાવજીભાઇ ડાભી, મનદીપ ગાંડુભાઈ ડાભી, ચંદુભાઈ નાજાભાઈ ભરવાડ, કાળુ પૂરી વાળો, કાળુભાઈનો ભાઈ સોનુ સહિત કુલ મળીને નવ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે શબ્બીર કાસમભાઇ બ્લોચને ભરવાડના એક શખ્સ દ્વારા ગાળો આપવામાં આવી હતી. જેથી કરીને ત્યાં સમજાવવા માટે ગફારભાઈ હાસમભાઇ કાબરા સહિતના ગયા હતા, ત્યારે આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી વડે તેઓને માર માર્યો હતો. જેમાં ઇજા પામેલા ગફારભાઈ હાસમભાઇ કાબરાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાકીરહુસેન મોહસીનભાઈની ફરિયાદ લઈને પોલીસે આઈપીસી કલમ નં. ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૪૦૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી જો કે, ગફારભાઈ હાસમભાઇ કાબરાને થયેલ ઇજાનો રિપોર્ટ આવ્યા બાદ અગાઉ નોંધાયેલ ફરિયાદમાં હત્યાનો પ્રયાસની કલમ ૩૦૭ નો ઉમેરો કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો