સ્કૂલ સંચાલકો આનંદો: કોરોના વર્ષમાં સ્કૂલ બસને ટેક્સમાંથી મુક્તિ મળશે.

કોવિડ-19ની પરિસ્થિતીમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ-સ્કૂલો માટે ગુજરાત સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19ની પરિસ્થિતીમાં બંધ રહેલી શૈક્ષણિક સંસ્થાઓ-સ્કૂલોને રાહત આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ/સ્કૂલોના નામે નોંધાયેલી અને ચાલતી અને તા.૧ એપ્રિલ-ર૦૧૭ પહેલાં રજિસ્ટ્રર્ડ થયેલી બસો માટે તા.૧ એપ્રિલ-ર૦ર૦થી તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધીના સમય માટેનો મોટર વાહન વેરો-વ્હીકલ ટેક્ષ માફ કરવામાં આવ્યો છે. આવી સ્કૂલ બસો આ સમયગાળા દરમ્યાન અન્ય કોઇ વ્યાપારીક પ્રવૃત્તિ માટે ઉપયોગમાં કે વપરાશમાં લેવામાં આવી નથી તેની ચકાસણી કર્યા બાદ તેને નોનયુઝ તરીકે વેરા માફી આપવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ રાજ્યની આવી શૈક્ષણિક સંસ્થાઓ અને સ્કૂલો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19ની મહામારીની સ્થિતીમાં શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેલા હોવાથી તેમની બસોને મોટર વ્હીકલ ટેક્ષના ભારણમાંથી રાહત આપતાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલ બસોમાં વાર્ષિક રૂ. ર૦૦ પ્રતિ સીટ પ્રમાણે મોટર વ્હીકલ ટેક્ષ વસુલવામાં આવે છે.

આ સમાચારને શેર કરો