Placeholder canvas

જામનગરમાં દિલધડક રેસ્ક્યૂનાં દૃશ્યો:એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં લાગી

  • ધુંવાવ અને અલિયા ગામમાં પૂરના પાણીને કારણે ઘરના એક માળ ડૂબી ગયા
  • લોકો જીવ બચાવવા ઘરની છત પર પહોંચ્યા
  • બાંગા ગામમાંથી 6 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યાં

જામનગર જિલ્લાના કાલાવાડ અને જામનગર તાલુકામાં ગત રાત્રિએ વરસેલા સાંબેલાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં જળની સ્થિતિ સર્જાતાં સેંકડો લોકો ફસાયા છે. ગામમાંથી બહાર નીકળવાના રસ્તા પર જ પાણી ફરી વળતાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લાગી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડશિયા, કોંજા, અલિયાબાડા, ધુંવાવ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

અલિયાબળા ગામ સૌથી વધુ પ્રભાવિત થયું
કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનતાં અલિયાબાડા ગામમાં પૂરના પાણી ઘૂસ્યાં હતાં. અલિયાબાડા ગામમાં ઘરનાં એક-એક માળ પાણીમાં ગરકાવ થતાં લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા છે. નદીકાંઠા નજીકમાં કેટલાક લોકો ફસાયા હોય અને પાણીનો સ્તર વધી રહ્યો હોઈ, સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 25 લોકોનું દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન કરાયું હતું. જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોના જીવ બચાવ્યા હતા.

અલિયાબાડા નર્સિંગ કોલેજનો એક માળ ડૂબી ગયો

અલિયાબાડા નર્સિંગ કોલેજ નદીના કાંઠે આવેલી છે નદીમાં વધુ પૂર આવતા કોલેજની દિવાલ પડી ગઈ હતી અને કોલેજ અને હોસ્ટેલમાં નદીના પાણી ફરી વળ્યા હતા કોલેજના અને હોસ્ટેલના એક માળ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને બીજા માળમાં પણ પાણી આવી ગયું હતું ત્યારે વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ ઉપરના માળે જતો રહ્યો હતો. આજથી નર્સિંગ કોલેજની ત્રીજા વર્ષની પરીક્ષા ચાલુ થતી હતી જે રદ કરવામાં આવી છે

અડધું ધુંવાવ ગામ પાણીમાં ગરકાવ
જામનગર નજીક આવેલા ધુંવાવા ગામમાં પણ ભયંકર સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી ગામની અંદર ઘૂસી જતાં ગામની પચાસ ટકા વસતિ પૂરના પાણીમાં ફસાઈ છે. ગામલોકો દ્વારા પાણીની વચ્ચે ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાની માગ કરાઈ છે. ગામલોકોનું માનીએ તો, તેમણે ઈતિહાસમાં ક્યારેય આવું પૂર જોયું નથી.

નાગેશ્વર ખોડિયાર મંદિરમાં લોકો ફસાયા
નાગેશ્વર નદીના કાંઠા પર જ ખોડિયાર મંદિર આવેલું છે. રાત્રિના સમયે નાગમતી-રંગમતી નદીમાં ઘોડાપૂર આવતાં મંદિર આસપાસ પૂરનાં પાણી ફરી વળ્યા છે. મંદિર પણ અડધું પાણીમાં ડૂબી ચૂક્યું છે. અહીં પાંચથી છ જેટલા લોકો છત પર ફસાયેલા છે, જેઓ દ્વારા વીડિયો વાઈરલ કરી મદદની માગ કરી છે.

શહેરના ભોઈવાડા વિસ્તારમાં 10 ફૂટથી વધુ પાણી ભરાયાં
જામનગર શહેરના ભોઈવાડા વિસ્તારમાં ધુંવાવના નાકા પાસે નાગમતી-રંગમતી નદીનાં પાણી ફરી વળતાં રહેણાક વિસ્તારમાં 10 ફૂટ કરતાં વધુ પાણી ભરાયાં છે. હાલ અહીંથી પણ બોટ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામા આવી છે.

એરફોર્સના હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં લાગ્યા
જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એરફોર્સનાં ચાર હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલાં 3 ગામના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ અને સહાય પહોંચાડવા, સલામત સ્થળે ખસેડવા તેમજ એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે. હાલ બાંગામાંથી 6થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા છે તેમજ હજુ પણ જામનગરના ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એરલિફટની કામગીરી ચાલુ છે.

SDRFની ટીમે બોટ વડે બચાવ કામગીરી શરૂ કરી
જામનગર નજીક ધુંવાવ ગામમાં પૂરના પાણી ફરી વળતાં SDRFની ટીમ અહીં કામે લગાડવામાં આવી છે. SDRFની ટીમ દ્વારા બોટની મદદથી ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

પાણીમાં ઘરવખરી તણાઇ ગઇ…

જામનગરની આસપાસના વિસ્તારમાં ભયંકર પૂર આવતા ઘણા બધા ગામોમાં અને વિસ્તારોમાં પાંચથી કરીએ 10 ફૂટ પાણી આવી ગયા હતા અને ઘરમાંથી તમામ ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ હતી અથવા તો બરબાદ થઈ ગઈ છે. નદીના પાણીમાં ફ્રીજ, ગેસ સિલિન્ડર, ટીવી, વોશિંગ મશીન, સોફા જેવી વસ્તુઓ નદીમાં ધસમસતું પાણી પોતીની સાથે તાણીને લઈ ગયું છે.

આ સમાચારને શેર કરો