ગુજરાતમાં ગમે ત્યારે વરસાદ તૂટી પડશે…

આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી આપતા એવુ કહે છે કે, આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ સંભાવના છે. આગામી બે દિવસ તો આ વિસ્તારમાં વરસાદ રીતસર બધુ પાણી પાણી કરી દેશે. રવિવારે સુરતના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી. તો ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા હતા. ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા.

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી સપ્તાહમાં ગુજરાતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યુંકે, આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તો ચાર જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં અતિભારે વરસાદ થઈ શકે છે. આ સાથે આજે પાંચ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવી છે. અમદાવાદ, આણંદ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં ભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ સક્રિય થયા પછી વરસાદી સિસ્ટમને સક્રિય કરતા પરિબળો પર અનેક પ્રકારના વિક્ષેપ થતા આ વખતે ગુજરાતને સાર્વત્રિક વરસાદનો લાભ મળ્યો નથી. દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, જુનાગઢના મેંદરડા, વંથલી, માણાવદરમાં મોસમનો 100 ટકા વરસાદ વરસી ગયો છે. પરંતુ અન્ય તાલુકાઓમા વરસાદ ઓછો છે. જોકે, હજુ પણ વરસાદનો પાવરફૂલ રાઉન્ડ આવવાનો બાકી છે.

જ્યારે કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેરા, આણંદ, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ ની આગાહી છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. છેલ્લાં 14 કલાકમાં રાજ્યના કુલ 137 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરગામમાં 8 ઈંચ વરસ્યો. તો સુરતમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. જોકે, ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો, શ્રીકાર વર્ષાથી કચ્છ-સૌરષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તો તરબોળ થયું છે, પરંતું ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ ન હોવાથી ગંભીર પરિસ્થિતિ છે. આવામા વાવણી કરી બેસેલા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અત્યાર સુધી સીઝનનો 38.28 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ અડધાથી વધુ ભાગમાં 20 થી 40 ટકા જેટલો જ વરસાદ રહ્યો છે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સુરતના ઉમરગામમાં સવા 8 ઈંચ વરસાદ વરસ્યો. તો સુરતના કામરેજ અને પલસાણામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો. સુરત શહેરમાં પણ 6 ઈંચ વરસાદ વરસ્યો. તાપીના નિઝરમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો. નવસારીમાં પણ 5 ઈંચ વરસાદ નોંધાયો. ભરૂચના અંકલેશ્વર, વલસાડના પારડીમાં 4.5 ઈંચ, ગીરસોમનાથના વેરાવળમાં વરસ્યો 4 ઈંચથી વધારે વરસાદ, આણંદના ખંભાતમાં 4 ઈંચ વરસાદ, ઉમરપાડા અને કપરાડામાં પોણા 4 ઈંચ વરસાદ વરસ્યો. તો સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, ભાવનગરમાં પણ વરસાદ રહ્યો. આમ, રાજ્યના 42 તાલુકામાં વરસ્યો 2 ઈંચથી વધારે વરસાદ નોંધાયો

23 જુલાઈએ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવી છે.

24 જુલાઈએ અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપી છે. જ્યારે જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત ભરુચ, નર્મદા, બોટાદ,દ્વારકા, પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવી છે.

25 જુલાઈએ અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જ્યારે ગીરસોમનાથ,દીવ, સુરત, નવસારી, ડાંગમાં યલો એલર્ટ આપી છે. આ ઉપરાંતના જિલ્લામાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.


આ સમાચારને શેર કરો