Placeholder canvas

મુસ્લિમ યુવકોને જાહેરમાં મારવાના મામલે 4 પોલીસકર્મીઓને 14 દિવસની જેલની સજા

પોલીસે 2022માં નવરાત્રી દરમિયાન ગરબા પર પથ્થરમારાની ઘટના બાદ ઉંઢેલા ગામમાં મુસ્લિમ સમુદાયના યુવકોને જાહેરમાં થાંભલા સાથે બાંધીને ડંડા ફટકાર્યા હતા.

અમદાવાદ: ગત ૦૪ ઓક્ટોબર ૨૦૨૨ના દિવસે ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં મુસ્લિમ યુવકોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં ફટકારવાની ઘટનામાં ચાર પોલીસકર્મીઓને ગુજરાત હાઈકોર્ટે ૧૪ દિવસની જેલની સજા ફટકારી છે. પોલીસના અત્યાચારનો ભોગ બનેલા એક મહિલા સહિતના ચાર આરોપીએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. અરજદારોનો આક્ષેપ હતો કે તેમને જાહેરમાં માર મારીને પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનો ભંગ કર્યો હોવાથી તેમની સામે કોર્ટની અવમાનના કરવાના ગુના હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ કેસમાં એક સમયે આરોપી પોલીસકર્મીઓએ પીડિતોને વળતર ચૂકવવાની તૈયારી બતાવી સમાધાનની ઓફર પણ કરી હતી. જોકે, પીડિતોએ પોતાને વળતર નહીં પણ ન્યાય જોઈએ છે તેમ કહીને આરોપીઓ દ્વારા કરાયેલી વળતર આપીને સમાધાન કરવાની ઓફરને ફગાવી દીધી હતી. ૧૯ ઓક્ટોબરના રોજ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પણ આરોપીઓએ પોતાને સજા સંભળાવવાને બદલે આર્થિક દંડ કરવા માટે વિનંતી કરી હતી, જોકે કોર્ટે તમામ તથ્યો તેમજ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આરોપીઓને ૧૪ દિવસની જેલની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો.

04 ઓક્ટોબર 2022ના રોજ પોલીસે પીડિતોને જાહેરમાં ડંડા માર્યા હતા

ઉંઢેલા ગામમાં ઓક્ટોબર ૨૦૨૨માં આઠમા નોરતે ગરબામાં પથ્થરમારાની એક ઘટના બની હતી. ત્યારબાદ પોલીસે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોની ધરપકડ કરી હતી, ફરિયાદ અનુસાર આ તમામ લોકોને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે તેમને ગામમાં લાવીને પોલીસે વીજળીના થાંભલા પાસે ઉભા રાખીને તેમને જાહેરમાં થાપા પર ડંડા ફટકાર્યા હતા. ગામના મસ્જિદ ચોકમાં પોલીસ આ લોકોને ફટકારી રહી હતી ત્યારે ત્યાં એકઠું થયેલું ટોળાએ ચીચીયારીઓ પાડી રહ્યું હતું. પીડિતોનો એવો પણ આક્ષેપ હતો કે પોલીસે તેમને જાહેરમાં ફટકારતા પહેલા ઘરમાં પણ તેમને માર માર્યો હતો અને પછી તેમને મસ્જિદ ચોક પાસે લઈ જવાયા હતા. પોલીસે આ લોકોને માર મારીને વાનમાં બેસાડી દીધા હતા અને પછી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

જોકે, ત્યારબાદ કુલ પાંચ આરોપીએ પોતાને ફટકારનારા પોલીસકર્મીઓ સામે હાઈકોર્ટમાં પિટિશન કરીને ન્યાયની માગ કરી હતી. શરૂઆતમાં ફરિયાદીઓ દ્વારા ૧૩ પોલીસકર્મીઓ સામે કાયદાકીય પગલાં લેવા માટે રજૂઆત કરાઈ હતી, પરંતુ આ ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં ચાર પોલીસકર્મીઓની ઓળખ પ્રસ્થાપિત થયા બાદ કોર્ટે તેમની સામે કાર્યવાહી શરૂ કરી હતી. જે પોલીસકર્મીઓને કસૂરવાર ઠેરવીને ૧૪ દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે તેમાં પીઆઈ એ.વી. પરમાર, પીએસઆઈ ડી.બી. કુમાવત, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ડાભી અને કોન્સ્ટેબલ રાજુ ડાભીનો સમાવેશ થાય છે. બચાવ પક્ષે એક સમયે એવી પણ દલીલ કરી હતી કે કોઈના થાપા પર બે-ચાર ડંડા મારવા તેને કસ્ટોડિયલ ટોર્ચર ના કહી શકાય, જેથી આ મામલો કોર્ટની અવમાનનાનો છે જ નહીં. જોકે, કોર્ટે તેમની આ દલીલ ફગાવી દીધી હતી.

હાઈકોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજા સામે કસૂરવાર પોલીસકર્મીઓના વકીલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પણ વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ કેસમાં પોલીસકર્મીઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટ તેમને સજા સંભળાવવાને બદલે પીડિતોને વળતર ચૂકવી સમાધાન કરવાની તક આપે. કસૂરવારોએ એવું પણ જણાવ્યું હતું કે જો તેમને સજા ફટકારવામાં આવી તો તેમની કારકિર્દી પર તેની ખૂબ જ ખરાબ અસર પડશે. ત્યારબાદ કોર્ટે બંને પક્ષના વકીલોને આ અંગે ચર્ચા કરવા જણાવ્યું હતું, ફરિયાદીઓની હાજરીમાં તેમની વચ્ચે મિટિંગ પણ થઈ હતી પરંતુ તેમાં ફરિયાદીઓએ સમાધાન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. કોર્ટે આજે ચાર પોલીસકર્મીને સજા ફટકારતા એવી ટકોર પણ કરી હતી કે પોલીસે પોતાનું વર્તન સુધારવાની જરૂર છે.

આ સમાચારને શેર કરો