ગુજરાતમાં સંઘવીએ પોલીસના હાથમાં આપ્યું સરઘસનું અમોધ શસ્ત્ર! હવે ગુનો કર્યો તો જાહેરમાં નીકળશે વરઘોડો
ગુજરાત: આજે સુરતના ઉધનામાં બાળકીની છેડતી કરનાર શખ્સને પોલીસે કાયદાનો બરાબરનો પાઠ ભણાવ્યો. આરોપીનું સરઘસ કાઢીને જાહેરમાં જ લોકોની માફી મંગાવી. ભરબજારમાં આરોપીને ફેરવીને કાયદાનું ભાન કરાવ્યું. છેલ્લાં કેટલાક સમયથી ગુજરાત પોલીસે ગુનાખોરી સામે નવુ શસ્ત્ર ઉગામ્યું છે.
ગુજરાતમાં હવે આરોપીઓના વરઘોડા કાઢવાની નવી પેટર્ન ગુજરાત પોલીસે અપનાવી છે. સંઘવીના સિંઘમો હવે આરોપીઓને લઈને રસ્તા પર ઉતરી રહ્યાં છે. કાયદાનો ખૌફ રહે તે માટે હવે ગુજરાતમાં જાહેરમાં આરોપીઓના વરઘોડા નીકળી રહ્યાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહી ચૂક્યા છે કે, ‘ગુનેગાર જે ભાષામાં સમજે એ ભાષામાં સમજાવવો જ જોઈએ. જો કોઈ નિદોષ વ્યક્તિને ગુનેગારો પરેશાન કરશે તો તેનો વરઘોડો તો નીકળવો જ જોઈએ.’ છેલ્લાં કેટલાક દિવસથી ગુજરાતના રસ્તાઓ પર આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી રહી છે, અને તેઓ લોકોની માફી માંગી રહ્યાં છે. આ દ્રષ્યો બતાવે છે કે, ગુજરાતમાં ગુનાખોરી આચરનારાઓને માફ નહિ કરાય.
તાજેતરમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુનેગાર જે ભાષા સમજતા હોય તે ભાષામાં પોલીસે સમજાવવા જોઈએ. પોલીસને ડંડો આપ્યો છે તેનો છુટથી ઉપયોગ કરવાનું જાહેર મંચ પરથી કહું છું. આરોપીઓના વરઘોડાથી ઘણાને મુશ્કેલી પડે છે પણ ગુનેગારના વરઘોડા તો નીકળશે જ. જો કોઈ નિદોષ વ્યક્તિને ગુનેગારો પરેશાન કરશે તો તેનો વરઘોડો તો નીકળવો જ જોઈએ. પોલીસ સાથે પનારાઓ પાડનાર ગુનેગારની ચાલ પણ બદલાવવી જોઈએ.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા છુટાદોર મળતા હવે ગુજરાત પોલીસ મેગા એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુજરાત પોલીસની આરોપીઓની સરભરા કરવાની પેટર્ન બદલાઈ છે. આરોપીઓને હવે સીધા રસ્તા પર જ ઉતારવામાં આવી રહ્યાં છે. જે બતાવે છે કે, કાયદાને હાથમાં લેનારને બક્ષવામાં નહિ આવે. હવે ગુજરાતના ગુનેગારો રસ્તા પર માફી માંગતા દેખાઈ રહ્યાં છે. જે બતાવે છે કે, આરોપી નાનો હશે કે મોટો કોઈને છોડવામાં નહિ આવે.
સુરતમાં સૌથી વધુ આરોપીના વરઘોડા નીકળ્યા
છેલ્લાં કેટલાક દિવસોથી સુરતમાં વધી રહેલા ગુનાઓને કારણે હવે સુરત પોલીસ દ્વારા આરોપીઓના સૌથી વધુ વરઘોડા નીકળ્યા છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ સંઘવીના સિંઘમો આરોપીઓના સરઘસ કાઢી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોની ઘટના પર નજર કરીએ તો…
- આજે ઉધના બાળકી સાથે છેડતીનો મામલામાં આરોપી નિમુદ્દીનનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી. ભર બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો
- સુરત કાપોદ્રા પોલીસે એકે સિંહ નામના બોગસ ડોક્ટરની ધરપકડ હતી. જેના બાદ કાપોદ્રા પોલીસે ક્લિનક પર લઈ જઈ ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો.
- લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર આરોપી ઉમેશ તિવારીનો વરઘોડો સુરત પોલીસે કાઢ્યો હતો. આરોપી ઉમેશ તિવારીને ઘટના સ્થળ પર લાવી પંચનામું કરવામાં આવ્યું હતું.
- બનાસકાંઠાના દાંતીવાડાના વાઘરોલ ગામેથી યુવતીનું અપહરણ કરીના સામુહિક દુષ્કર્મ કરનાર આરોપી વિનુસિંગ સોલિંકી અને વાલિસંગ સોલંકીનું દાંતીવાડા પોલીસે વાઘરોલ ગામથી દાંતીવાડા સુધી વરઘોડો કાઢ્યો હતો. આરોપીઓનો વરઘોડો જોઈ આવી કોઈ બીજી ઘટનાઓને અંજામ આપવાની હિંમત ન કરે તે હેતુથી કાઢ્યો વરઘોડો
- સુરતની પાંડેસરા પોલીસે બોગસ તબીબીનો વરઘોડો કાઢ્યો હતો. બોગસ ડિગ્રીનો મુખ્ય આરોપી રસેસ સુરત પોલીસે જાહેરમાં સરભરા કરી હતી.
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી બાદ વડોદરા પોલીસે હત્યાના પ્રયાસના આરીપી નિસામુદ્દીન સૈયદનો વરઘોડો કાઢ્યો હતો.
- રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા મારામારીના આરોપી સાકીરખાન પઠાણનો વરઘોડો કાઢ્યો હતો. સાકીરખાન પઠાણ દ્વારા શુક્રવારના રોજ ખત્રીવાડ વિસ્તારમાં દિપાંકર બંગાળી નામના વ્યક્તિને છરીના ઘા ઝીંક્યા હતા
- સુરતના રાંદેર વિસ્તારમાં USDT માટે યુવકનું અપહરણ કરતા કુખ્યાત કેલીયા ગેંગનો વરઘોડો શહેર SOG પોલીસે કાઢ્યો હતો. તેમને વિસ્તારમાં ફેરવી તેમની શાન ઠેકાણે લાવી હતી. આ ગેંગે યુવકનું કારમાં અપહરણ કરી 30 લાખ રૂપિયાના USDT પડાવ્યા હતા .