રાજકોટ: પટેલ વિહાર રેસ્ટોરેન્ટના માલીક હસમુખભાઈ પટેલે ગળોફાંસો ખાઈને જીંદગી ટૂંકાવી.
રાજકોટની નામાંકિત અને ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર આવેલી પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલીક હસમુખભાઈ પટેલે આજે વહેલી સવારે આનંદ બંગલા ચોક પાસે આવેલા અવકાશ સ્કેવર નામના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે. આ બનાવની જાણ થતાં જ માલવીયા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
આ બનાવની મળેલ માહિતી મુજબ,રાજકોટના આનંદ બંગલા ચોક પાસે કૃષ્ણનગર મેઈન રોડ ધોળકિયા સ્કૂલ પાસે આવેલી અવકાશ સ્કેવરમાં રહેતા હસમુખભાઈ પરસોતમભાઈ પાંચાણી(પટેલ)(ઉ.વ.65) એ વહેલી સવારે પોતાના ઘરે હોલમાં પંખામાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.સવારે ચારેક વાગ્યે પત્ની જાગ્યા ત્યારે ઘરના હોલમાં જતા પતિ લટકતી હાલતમાં દેખાતા દેકારો કરી મુક્યો હતો અને તેવામાં પરિવારજનો અને પાડોશીઓ જાગી જતા ત્યાં દોડી ગયા હતા અને 108ને જાણ કરતા ઇએમટીએ પહોંચી હસમુખભાઈને મૃતજાહેર કર્યા હતા.
108ના સ્ટાફે બનાવ અંગે તુરંત 100 નંબર પર કંટ્રોલરુમમાં જાણ કરતા જ માલવીયા પોલીસ મથકના એએસઆઈ ગીતાબેન પંડ્યા અને સ્ટાફ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયો હતો અને ત્યાં જઈને જોતા હસમુખભાઈનો મૃતદેહ લટકતી હાલતમાં હતો તેમજ જરૂરી કાગળો કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હસમુખભાઈના પત્નીએ જણાવ્યું હતું કે,આજે રાત્રે તેઓ સુતા હતા ત્યારબાદ પતિ ન દેખાતા તેઓ બહાર હોલમાં ગયા હતા ત્યાં જઈને જોયું તો પતિ ત્યાં લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.
પોલીસે તપાસ કરતા હસમુખભાઇને રાજકોટની નામાંકિત ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર નામની રેસ્ટોરન્ટ છે.જેઓ તેનું સંચાલન પોતે જ કરતા હતા.પરંતુ કોરોના કાળ બાદ ધંધો બરાબર ચાલતો નહોતો.તેઓ ચિંતામાં રહેતા હતા.ગઈકાલે અચાનક પગલું ભરી લેતા પટેલ પરિવારમાં શોક છવાયો છે. હસમુખભાઈના મૃત્યુથી ત્રણેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.તેમજ પરિવારમાં શોક છવાયો છે.તેઓ ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ હતા.