Placeholder canvas

હવે કોઈ પેપર નહીં ફૂટે, સરકારી ભરતીની પરીક્ષા સમયસર લેવાશે.-કેજરીવાલ

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિંમતનગરમાં અનેક મોટા વચનો આપ્યો છે. કેજરીવાલે ફ્રી શિક્ષણ, સરકારી ભરતીમાં પેપર ફૂટવાના મુદ્દા સહીત અનેક મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યાં હતા.

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સતત રાજ્યના પ્રવાસે આવી રહ્યાં છે. ગુજરાતમાં જુદી-જુદી જગ્યાએ લોકો સાથે સંવાદ કરી જનતાને મોટી-મોટી ગેરેન્ટી આપી રહ્યાં છે. આજે કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજ્યા બાદ હિંમતનગર પહોંચેલા કેજરીવાલે ગુજરાતની જનતાને વધુ કેટલીક ગેરેન્ટી આપી છે. 

અરવિંદ કેજરીવાલે રોજગારનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, અહીં રોજગાર નથી, કામ કરવા માટે નોકરી નથી. ગુજરાતની જનતાનો અવાજ સાંભળનાર કોઈ નથી. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, 27 વર્ષથી તેનું શાસન છે પરંતુ ભાજપને કોઈ ચિંતા નથી. તેમણે કહ્યું કે દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યો, દિલ્હી નાનું છે. ગુજરાત મોટું છે, ત્યાં વધારે લોકોને રોજગાર મળશે. કેજરીવાલે કહ્યું કે દરેકને નોકરી આપીશું. 

10 લાખ સરકારી નોકરી આપીશું
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાની છે. અમે બધી ગણતરી કરીને રાખી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી નોકરી નહીં મળે ત્યાં સુધી 3 હજાર બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. તો 18 વર્ષથી મોટી ઉંમરની દરેક મહિલાઓને મહિને 1 હજાર રૂપિયા આપવામાં આવશે.

પેપર ફૂટવાનો મુદ્દો ઉઠાવ્યો
ગુજરાતમાં અત્યાર સુધી ઘણી સરકારી પરીક્ષાના પેપર ફૂટી ગયા છે. આ મુદ્દે રાજ્યભરમાં પરીક્ષા આપનાર ઉમેદવારોએ વિરોધ પણ કર્યો હતો. ત્યારે કેજરીવાલે કહ્યું કે હવે કોઈ પેપર ફૂટશે નહીં. સમયસર પરીક્ષા લેવાશે. તેમણે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે, જે પેપર લઈ શકતા નથી, તે શું સરકાર ચલાવશે. તેમણે કહ્યું કે હું રૂપિયા લૂંટીને સ્વિસ બેન્કમાં લઈ જતો નથી. જનતાના પૈસા જનતાને આપુ છું. અમને મત આપશો તો બાળકોનું ભવિષ્ય બનાવીશું. 

ફ્રી માં સારવાર મળશે
કેજરીવાલે હિંમતનગરમાં પણ સરકારી હોસ્પિટલનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે દરેકને ફ્રી સારવાર આપવામાં આવશે. દિલ્હીમાં મહોલ્લા ક્લિનિકમાં તમામ સારવાર અને દવા ફ્રી મળે છે. તેમણે કહ્યું કે અમારી સરકાર આવશે તો તમામ ટેસ્ટ, દવા અને મફત ઓપરેશન કરવામાં આવશે. અમે સરકારી હોસ્પિટલ એસી સાથે શાનદાર બનાવીશું. 

વિદ્યાસહાયકોની સમસ્યાનું લિસ્ટ છે, અમારી સરકાર બનાવો એક મહિનામાં નિરાકરણ લાવીશુંઃ સિસોદિયા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી હિંમતનગરમાં આવેલ. ત્યાં તેમણે નલિનકાંત ટાઉનહોલ ખાતે સંબોધન કર્યું હતું. આ દરમિયાન મનીષ સિસોદિયાએ વિદ્યાસહાયકોની ભરતીનો મુદ્દો ઉઠાવ્યો છે. 

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ કહ્યુ કે તમે સાબરકાંઠામાં છો, શું આ હોલમાં ક્યારેય આવી સભા થઈ છે? અહીં એક ઈંચ જગ્યા નથી. આ માહોલ મને દિલ્હીની 2015ની યાદ અપાવે છે. ત્યારે આવી રીતે અમારૂ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હીમાં 7 વર્ષ થયા, વરસાદ, ઠંડી કે ગરમીમાં સ્કૂલ ખુલે એટલે હું રોજ સવારે 7 કલાકે જાવ છું. સ્કૂલે ફર્યા બાદ બીજા કામ કરૂ છું. 4 લાખ બાળકોને ખાનગી સ્કૂલ છોડાવીને સરકારી શાળામાં લાવ્યા છીએ. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ અહીં શાળાની સ્થિતિ ખરાબ છે. 

સિસોદિયાએ કહ્યું કે અમે શાળાની મુલાકાત લીધી હતી. કેજરીવાલ શિક્ષણની ગેરેન્ટી આપે છે. અમે સારી શાળા બનાવીશું. શિક્ષણ એ બાળકોનો અધિકાર છે. શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. અમે દિલ્હીમાં 19 હજાર શિક્ષકોની ભરતી કરી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં શિક્ષકો સારૂ શિક્ષણ આપી રહ્યાં છે. 

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યા સહાયકોનો મુદ્દો ચાલી રહ્યો છે. વિદ્યા સહાયકોની ભરતી કરવા માટે ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે. ઉમેદવારોએ આ મામલે વિરોધો પણ કર્યાં હતા. હવે મનીષ સિસોદિયાએ આ દુખતી નસ દબાવી છે. તેમણે કહ્યું કે વિદ્યાસહાયકોની સમસ્યાનું લીસ્ટ છે. સરકાર બનાવો એક મહિનામાં નિરાકરણ લાવીશું. તેમણે કહ્યું કે બાળકો બીએડ કરીને બેઠા છે, ટ્રેનિંગ લીધી છે પરંતુ સરકાર ટેટની પરીક્ષા કરાવતી નથી. અમારી સરકાર આવશે તો ટેટની પરીક્ષા સમયસર યોજાશે. અમે ભરતી કરીશું. આ ગેરેન્ટી છે. 

આ સમાચારને શેર કરો