Placeholder canvas

બાળકીને જોઈ નરાધમની દાનત બગડી, અડપલાં કરવાના ઇરાદે લઈ જઈ પથ્થરના ઘા મારી હત્યા કરી નાખી

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સામાકાંઠે આવેલા જનકલ્યાણ વિસ્તારમાં અઢી વર્ષની બાળકીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં પોલીસે તેના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. CCTV ફૂટેજના આધારે શકમંદોની અટકાયત કરી પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકીના પિતા અને પરિવારજનોનો આક્ષેપ છે કે દારૂના નશામાં આરોપીએ બાળકીની હત્યા નીપજાવી છે.

રાજકોટ જિલ્લાના જેતપુર વિસ્તારમાં સાળીના કારખાનામાં મજૂરીકામ કરતા અને મૂળ બિહારના વતની પંકજ કુમાર (ઉં.વ.33) અને તેમનાં પત્ની કારખાનામાં કામ કરતાં હતાં. દરમિયાન સાંજના 5 વાગ્યા આસપાસ બાળકી નજીક રમવા ગઈ હતી. આ દરમિયાન રાજેશ ચૌહાણ નામના શખસની દાનત બગડતાં અઢી વર્ષની માસૂમ બાળકી રિયાને નજીકમાં અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો, જોકે બાળકી સાથે અડપલાં કરતા સમયે બાળકીએ બૂમાબૂમ કરવા લાગતાં નરાધમે તેને મોઢે ડૂચો દઇ ગળું દબાવી પથ્થર મારી હત્યા નીપજાવી હતી. બાદમાં તેની લાશને કોથળામાં વીંટી અવાવરૂ સ્થળે ફેંકી દીધી હતી.

કારખાનેથી પરત આવેલી બાળકી રિયાના માતા-પિતાએ 5થી 7 વાગ્યા સુધી તેની શોધખોળ હાથ ધરી હતી, જોકે તે ન મળતાં તેમને આ અંગે તેમના પિતરાઈ ભાઈ તેમજ કારખાનાના માલિકને પણ જાણ કરી હતી. એ બાદ CCTV કેમેરા ચેક કરતાં રાજેશ ચૌહાણ નામનો શખસ સાંજના 5 વાગ્યા આસપાસ બાળકીને લઇ જતો નજરે પડ્યો હતો.

બાદમાં પરિવારજનો પોલીસ સમક્ષ પહોંચ્યા હતા. બાદમાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરતાં બાળકીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેમાં તેને શરીરે ઇજાનાં નિશાન જોવા મળતાં તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી શકમંદોની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો