Placeholder canvas

વાંકાનેર: વીડી ભોજપરા ગામની સીમમાં 6.83 લાખની ખનીજ ચોરીની ફરિયાદ…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામે ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર રાજાવડલા ગામના શખ્સ દ્વારા બેફામ ખનિજચોરી કરી પર્યાવરણને નુકશાન પહોંચાડતા આ મામલે મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ કચેરીમાં માઇન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મીતેષભાઈ રામભાઈ ગોજીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં રાજાવડલા ગામે રહેતા પરબતભાઈ નારણભાઈ ગમારા તેમજ તપાસમાં જે નામ ખુલે તે તમામ વિરુદ્ધ ખનીજ ચોરી કરવા મામલે આઈપીસી કલમ 379 તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલ્લીગલ માઈનીંગ,ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017 ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી. એક્ટ-1957 ની કલમ-4(1) અને 4(1-એ) તથા 21 ની પેટા કલમ-1 થી 6 તથા જી.એમ.એમ.સી.આર. 2017 ના નિયમો મુજબ ફરિયાદ નોંધાવી છે.

વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે રાજાવડલા ગામના આ શખ્સ દ્વારા ગત તા.3 નવેમ્બર 2022થી લઈ તા.17 ડિસેમ્બર દરમિયાન વીડી ભોજપરા ગામની સીમમાં આવેલ સરકારી પડતરની જગ્યામા આરોપીએ સેની કંપનીના પીળા કલરના એસ્કેવેટર મશીન વડે ગેરકાયદેસર રીતે કોઈ પાસ પરમીટ કે લીઝ મંજુરી વગર ખોદકામ કરી 2277.14 મેટ્રિક ટન ખનીજ કિમત રૂ. 6,83,142ની ચોરી કરી પર્યાવરણીય નુકશાની વળતરની રકમ રૂ.1,77,617 મળી કુલ કિ.રૂ. 8,60,759 ની ખનીજ ચોરી કરી હોવાનું જાહેર કર્યું હતું. આ મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો