રાજકીયવાંકાનેર

સૌરાષ્ટ્રભરમાં કમળ ખીલ્યું : પંજાને મતદારોની થપડ

સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પરિણામ ફરી કોંગ્રેસ માટે આઘાતજનક રહ્યા છે. ભાજપની વિકાસ યાત્રા અને કેસરીયા રંગમાં મહાનગરો બાદ ગામડા સુધીના મતદારો રંગાઇ ગયા હોય તેમ કમળ પર વિશ્ર્વાસ વધાર્યો છે. છ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લા, તાલુકા, ગામડામાં પણ ભાજપ તરફી માહોલ રહેશે એ ધારણા સાચી ઠરી છે. કોંગ્રેસને માત્ર આશ્ર્વાસન રૂપ બેઠકો અને કયાંક કયાંક સત્તા મળવાના ચિત્ર વચ્ચે ‘આમ આદમી પાર્ટી’એ ગામડામાં પણ એન્ટ્રી કરી છે અને જુદા-જુદા જિલ્લામાં 14 બેઠક મેળવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છની તમામ જિલ્લા પંચાયતોમાં કમળ ખીલ્યુ છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં 36માંથી 25 બેઠક જામનગરમાાં 24માંથી 18, મોરબીમાં 24માંથી 14, જૂનાગઢમાં 30માંથી 22, પોરબંદરમાં 18માંથી 16, અમરેલીમાં 34માંથી 27, ભાવનગરમાં 40માંથી 31, સુરેન્દ્રનગરમાં 34માંથી 27, કચ્છમાં 40માંથી 32, બોટાદમાં 20માંથી 19, દેવભૂમિ દ્વારકામાં 22માંથી 12 બેઠક જીતી છે. જુનાગઢમાં બે, અમરેલીમાં 1, ભાવનગરમાં 1 બેઠક સાથે ‘આપ’ની એન્ટ્રી થઇ છે. જુદી-જુદી સંસ્થાઓમાં આપને કુલ 14 બેઠક મળી છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું પતન થયું છે અને સત્તા ગુમાવી છે. જામનગર જિલ્લા પંચાયફત પણ ભાજપે ખુંચવી લીધી છે. જૂનાગઢમાં પણ કમળ ખીલી ઉઠયુ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 જિલ્લા પંચાયતો, 41 તાલુકા પંચાયતો, 15 પાલિકામાં કમળનું રાજ આવ્યું છે. તો 10 તા.પંચાયત અને ત્રણ પાલિકા કોંગ્રેસને મળી છે.રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયત, 9 તા.પંચાયત, ગોંડલ પાલિકામાં ભાજપ અને જસદણ-વિંછીયા તા.પંચાયતમાં કોંગ્રેસ જીતી છે. જૂનાગઢ જિલ્લા પંચાયત, છ તાલુકા પંચાયત, 1 પાલિકામાં ભાજપ અને 2 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, જામનગર જિલ્લા પંચાયત 4 તા.પંચાયતમાં ભાજપ અને 1 તા.પંચાયત તથા 1 પાલિકામાં કોંગ્રેસ આવી છે. સોમનગર જિલ્લા પંચાયત અને તમામ પાંચ તા.પંચાયત, બે પાલિકા ભાજપે જીતી છે. જયારે માળીયા નગરપાલિકા કોંગ્રેસે જીતી છે. મોરબી જિલ્લા પંચાયત તમામ પાંચ તા.પંચાયત, બે નગરપાલિકામાં ભાજપ જીત્યો છે. જયારે માળીયા મીંયાણા સુધરાઇમાં કોંગ્રેસે શાસન યથાવત રહ્યું છે.ઉપલેટા-વંથલી અને લીલીયામાં ભાજપ-કોંગ્રેસને એક સરખી બેઠક મળતા ટાઇ થઇ છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસનું ધોવાણ અને આપની એન્ટ્રી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં નવુ જ ચિત્ર ઉભુ કરે તેવા સંકેત છે.

આ સમાચારને શેર કરો