Placeholder canvas

વાંકાનેર: કેરાળા ફાયરિંગ પ્રકરણમાં એકનું મોત…

વાંકાનેર : કેરાળા ગામે નવા વર્ષના દિવસે જ એક આધેડ ઉપર ફાયરિંગ થતાં ખળભળાટ મચી ગયો હતો, જે બનાવમાં પિતા-પુત્ર સહિત બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી હતી, જ્યારે પિતા ફરાર હોય જે વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ એક શખ્સ અને ત્રણ અજાણ્યા શખ્સો સહિતના કુલ ચાર ઈસમોએ વઘાસીયા નજીક આંતરી લાકડી વડે બેફામ માર મારી હાથ અને બંને પગ ભાંગી નાંખ્યા હતા.

મળેલ માહિતી મુજબ ફરિયાદી લાખાભાઈ ગોરાભાઈ બાંભવા (ઉ.વ. 65, રહે. હાલ ધમલપર-૨, મુળ રહે. કેરાળા)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી નથુભાઈ ભગાભાઈ ગોલતર (રહે. કેરાળા) અને તેની સાથે આવેલ ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે, બેસતા વર્ષના દિવસે આરોપી નથુભાઈના સગા રૈયાભાઈ સાથે ફરિયાદીને ઝઘડો થયો હોય, જે બનાવમાં ફરિયાદી લાખાભાઈનું નામ આરોપી તરીકે હોય, તેઓ પોલીસ કાર્યવાહીથી બચવા અલગ અલગ જગ્યાએ છુપાતા ફરતા હતા, દરમ્યાન ફરિયાદી વઘાસિયા નજીક મોટર સાયકલ લઈને પસાર થતા હોય ત્યારે વઘાસીયા ફાટક નજીક આરોપી નથુભાઈ તેમજ ત્રણ અજાણ્યા શખ્સોએ કારમાં આવી ફરિયાદીના બાઇકને આંતરી તેમના પર હુમલો કરી લાકડીઓ વડે બેફામ મારી ફરિયાદીના હાથ અને બંને પગ ભાંગી નાંખ્યા હતા, જે બાદ ઈજાગ્રસ્તને તાત્કાલિક પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં મળેલી માહિતી મુજબ લાખાભાઈ બાંભવાને રાજકોટ થી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેમનો મૃતદેહ અમદાવાદથી વાકાનેર લાવવામાં આવી રહ્યા છે. તેમની અંતિમ વિધિ કેરાળા કરવામાં આવશે તેવી અમારા શોર્ષમાંથી માહિતી મળી છે. કેરાળા ફાયરિંગ પ્રકરણમાં એક વ્યક્તિનો જીવ ગયો છે. હાલમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ગઈકાલે એસઆરપી મૂકી દેવામાં આવી છે. વધુ કોઈ અજુગતો બનાવ ન બને તે માટે પોલીસ ખળે પગે રહીને ચાંપતી નઝર રાખી રહી છે.

આ સમાચારને શેર કરો