Placeholder canvas

રાજકોટ: મોતની સંખ્યા એકાએક વધારો, આફ્રિકાથી અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થી સહિત 6 દર્દીના મોત

વિદ્યાર્થી રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવ્યો હતો.

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી રોજ કોરોના કેસની સંખ્યા 100ને પાર રહે છે. શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાનું સંક્ર્મણ દિવસેને દિવસે વધતું રહ્યું છે. ત્યારે આજે શહેરની કોવીડ હોસ્પિટલમાં આફ્રિકાથી અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થી સહિત 6 દર્દીના મોત નિપજ્યા છે. શહેરમાં મોતની સંખ્યા એકાએક વધતા શહેરીજનો ચિંતામાં મુકાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. મૃતક વિદ્યાર્થી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવ્યો હતો. હાલ મારવાડી યુનિવર્સિટીમાં કોરોનાના 8થી વધુ કેસો નોંધાયા હતા. રવિવાર સાંજ સુધીમાં નવા 109 કેસ નોંધાયા હતા અને શહેરમાં કુલ કેસની સંખ્યા 17597 પર પહોંચી છે. અલગ અલગ હોસ્પિટલમાં 439 દર્દી સારવાર હેઠળ છે. તેમજ મનપાના સત્તાવાર આંકડા મુજબ શહેરમાં અત્યાર સુધીમાં 148 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.

ટેસ્ટિંગ બુથ શરૂ

કોરોનાને કાબૂમાં રાખવા માટે મનપાએ ફરીથી ટેસ્ટિંગ બૂથ શરૂ કર્યા છે તેમજ ફરીથી જે વિસ્તારમાંથી કેસ આવે ત્યાં સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરાશે અને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનું કામ ચુસ્ત રીતે થશે. જિલ્લા કલેક્ટર કચેરીએ અલગ અલગ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી વેક્સિનેશન વધારવા માટે સૂચના અપાઈ છે.

પોઝિટિવ કેસની સંખ્યા હજી વધી શકે છે.

રાજકોટ શહેરમાં શનિવારે 121 અને ગ્રામ્યમાં 31 સહિત કુલ 152 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે. આ સંખ્યા હજુ પણ વધે તેવી શક્યતા છે. જેથી તંત્ર દોડતું થયું છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 24745 કેસ થઈ ગયા છે. જેમાંથી શહેરમાં જ 17488 નોંધાયા છે. બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે આ સંખ્યા 450થી વધીને 514 થઈ છે. સિવિલ હોસ્પિટલમાં જ 90 દર્દી દાખલ છે. જ્યારે ખાનગી હોસ્પિટલના સહિત કુલ 270 સારવાર લઈ રહ્યા છે.​​​​​​​

રસીકરણ કેમ્પનું આયોજન

વીંછિયામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠાન કોરોના રસીકરણ કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેના પ્રારંભ વખતે મંત્રીએ જણાવ્યું હતું કે, મેં પણ રસી લીધી છે. જેની કોઈ જ આડ અસર જોવા મળતી નથી. રાજ્ય સરકારનો અભિગમ વધુને વધુ લોકો રસી લઈ કોરોના સામે સુરક્ષિત બને. આપણે રસી વિશે કોઈ પણ નકારાત્મક બાબતો કે ભ્રામક પ્રચાર પર દુર્લક્ષ્ય સેવી આપણી જાતને વહેલામાં વહેલી તકે રસીનો ડોઝ લઈ સુરક્ષિત કરવી જોઈએ.

આ સમાચારને શેર કરો