Placeholder canvas

આવતીકાલથી ફરી પાછી ઠંડી આવશે : સંક્રાતના દિવસે પવન રહેશે.

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: વર્તમાન લેવલ કરતા તાપમાન 3થી6 ડીગ્રી ઘટશે: 18મીએ ફરી ઉંચકાશે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેટલાંક દિવસોથી ઠંડી ગાયબ જેવા માહોલ બાદ આવતીકાલથી ફરી તાપમાન નીચુ આવવા સાથે ઠંડીનો ચમકારો દેખાવાની આગા જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તેઓએ જણાવ્યું છે કે રાજયભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ન્યુનતમ તથા મહતમ તાપમાન નોર્મલ કરતા એકથી ચાર ડીગ્રી ઉંચુ રહ્યું હતું. આજે સવારે વધુ ઉંચુ હતું.

પશ્ચીમી પવનોને કારણે ભેજયુક્ત હવાથી ઝાકળવર્ષાની સ્થિતિમાં તાપમાનમાં આ મોટી વૃદ્ધિ થઈ છે. આજે સાંજ સુધી હજુ પશ્ચીમી પવન ફુંકાતા રહેશે અને પવનની ગતિ પણ વધુ રહેવાની શકયતા છે. તા.12થી18 જાન્યુઆરીની આગાહી કરતા તેઓએ કહ્યું કે આવતીકાલથી તાપમાનમાં ઘટાડો શરૂ થશે અને 13થી17 જાન્યુઆરી દરમ્યાન વર્તમાન સ્તર કરતા તાપમાન 3થી6 ડીગ્રી નીચે ઉતરી જશે. આ સમયગાળામાં મહતમ તાપમાનની રેન્જ 26થી28 ડીગ્રી રહેશે. જયારે ન્યુનતમ તાપમાનની રેન્જ 9થી12 ડીગ્રી રહેવાની શકયતા છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવતીકાલથી ઉતરના પવન ફુંકાવા લાગશે. વાતાવરણ ચોખ્ખુ અને સુકુ બનશે અને ભેજનું પ્રમાણ ઘટશે. એકાદ-બે દિવસ છુટાછવાયા હળવા વાદળો પણ છવાશે. તેઓએ કહ્યું કે 18મીએ ફરી પુર્વના પવન ફુંકાશે અને તેને પગલે તાપમાન ઉંચકાવા સાથે ઠંડી ઘટી જશે. ઉતર ભારતને લાગેવળગે છે ત્યાં સુધી કાશ્મીર તથા હિમાચલપ્રદેશમાં 12 અને 13 જાન્યુઆરી હિમવર્ષા તથા વરસાદ થવાની શકયતા છે અને ત્યારબાદ 18મી પછી ફરી હિમવર્ષાનો રાઉન્ડ આવશે..

પતંગ રસીયાઓ માટે સારા સમાચાર : સંક્રાતમાં પવન રહેશે.

ગુજરાતમાં તા.14મીને શનિવારે મકરસંક્રાંતિએ પતંગપર્વ ઉજવાશે. રાજકોટથી માંડીને રાજયભરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાશે. સંક્રાંતિએ પવનની સ્થિતિ મહત્વની હોય છે. અનેક વખત પવન પડી જતા પતંગરસીયાઓ નિરાશ થાય છે પરંતુ આ વખતે પવનદેવ ખુશ કરે તેમ છે. અશોકભાઈ પટેલના કહેવા પ્રમાણે રાજકોટમાં સવારે 11.30 થી સળંગ રાત સુધી સારો પવન ફુંકાશે. 10થી20 કિલોમીટરની ઝડપનો પવન રહેશે જે પતંગ ચગાવવા માટે અનુકુળ હોય છે. અમદાવાદમાં જો કે, પવનની ગતિ 10થી15 કિમીની હશે.

આ સમાચારને શેર કરો