Placeholder canvas

જો આજે ચાંદ દેખાય તો કાલથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થશે…

ઇસ્લામધર્મના પવિત્ર માસ રમઝાન માસ શરૂ થવાના આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય મુસ્લિમ સમાજમાં રૂહાની માહોલ છવાય જશે. ઇસ્લામી કેલેન્ડરની આજે 29 ચાંદ મુજબ સાંજે જો ચાંદ દેખાય તો આવતીકાલે રમઝાન માસનું પ્રથમ રોઝુ થશે.અત્રે ઉલલ્લેખનિય છે કે ગત વર્ષે કોરોના લોકડાઉનમાં રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘેર રહીને જ ખુદાની ઇબાદત કરી હતી.

કોરોના વાયરસની મહામારીનો ફૂંફાડો હજુ યથાવત રહેવા પામેલ હોય તેમજ રાજકોટ અને મોરબીમાં રાત્રીના 8 વાગ્યાથી રાત્રી કર્ફયુ લાગી જતો હોય મુસ્લિમ બિરાદરો આ વખતે પણ રમઝાન માસમાં ઇશાની અને તરાવીહની નમાઝ પોતાના ઘરે જ અદા કરશે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીના કહેરના પગલે આ વખતે પણ ઘણી જગ્યાએ મસ્જીદોમાં રોઝા ઇફતારી માટેના ન્યાઝના કાર્યકમો રદ કરવામાં આવેલ છે.ઇસ્લામી કેલેન્ડરની મુજબ આજે 29 ચાંદ ચગે જો આજે સાંજના ચાંદ દેખાય તો કાલથી રમઝાન માસ પ્રારંભ થશે અને જો આજે ચાંદ ન દેખાય તો બુધવારથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થશે.

ઇસ્લામ ધર્મમાં રમઝાન માસનું વિશેષ મહત્વ રહેલું છે. આ પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો રોઝા રાખી જકાત ખેરાત કરી પુણ્યનું ભાથુ બાંધશે.જયારે બીજી તરફ સૂર્યદેવે આકાશમાંથી અગન ગોળા વરસાવવાનું શરૂ કરી દીધુ હોય રોઝેદારોની આકરા તાપમાં આકરી કસોટી થશે. આવતીકાલથી જ પવિત્ર ઇબાદતનો ગણાતા રમઝાન માસનો પ્રારંભ થનાર હોય મુસ્લિમ સમાજમાં ઉત્સાહ છવાઇ જવા પામેલ છે. રમઝાન માસને મનાવવા માટે મુસ્લિમ સમાજ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

આ સમાચારને શેર કરો