Placeholder canvas

ટંકારા ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મોરબીના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200મા જન્મોત્સવ–સ્મરણોત્સવ કાર્યક્રમમાં સ્વામી દયાનંદ સરસ્વતીજીની સ્મૃતિમાં સાકાર થનાર જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમણે યજ્ઞમાં આહુતિ પણ આપી હતી.

ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા આયોજિત આ સમારોહમાં દેશના વિવિધ ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં આર્યસમાજના સ્વયંસેવકો, લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્રિ-દિવસીય સ્મરણોત્સવના સમાપનમાં બોલતાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદજીની આ 200મી જન્મજયંતી સમગ્ર દેશ માટે ઐતિહાસિક અવસર છે. આપણી ભારત ભૂમિ ધન્ય ભૂમિ છે, જેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવી અદભૂત વિભૂતિઓને જન્મ આપ્યો છે. આધ્યામિક પથપ્રદર્શક શ્રી અરવિંદે મહર્ષિ દયાનંદ વિશે કહ્યું હતું કે, તેઓ મનુષ્ય અને સંસ્થાનોના મૂર્તિકાર હતા. આજે આર્ય સમાજના 10 હજાર જેટલા કેન્દ્રો માનવતાના વિકાસ અને કલ્યાણ માટે કાર્યરત છે.

તેમણે કહ્યું હતું કે, લોકમાન્ય તિલક, લાલા હંસરાજ, લાલા લાજપતરાય જેવા મહાન ક્રાંતિકારીઓ પર સ્વામીજીના આદર્શોનો ગાઢ પ્રભાવ હતો. સ્વામીજી અને તેમના અસાધારણ અનુયાયીઓએ દેશના લોકોમાં નવી ચેતનાના આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો. કાઠિયાવાડની ધરતીની વિશેષતાનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ પછીની પેઢીઓમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. સ્વામીજીએ સમાજ સુધારણાનું બીડું ઝડપ્યું હતું અને ‘સત્યાર્થ પ્રકાશ’ નામના અમર ગ્રંથની રચના કરી હતી. તો મહાત્મા ગાંધીજીએ ભારતીય રાજનીતિમાં જન-જનને જોડવા સાથે તેને આધ્યાત્મિક આધાર આપ્યો અને ‘સત્યના પ્રયોગો’ ની રચના કરી. આ બંને ગ્રંથ આપણા દેશવાસીઓનું જ નહીં, માનવતાનું માર્ગદર્શન કરતા રહેશે. કાઠિયાવાડમાં જન્મેલા આ બંને મહાપુરુષોના જીવનથી દેશવાસીઓ અને સમગ્ર માનવ જાતને પ્રેરણા મળતી રહેશે. દેશના સૂતેલા આત્માને જગાડવા, સમાજને ઉન્નતિ તથા સમાનતાના આદર્શોને જોડવા અને દેશવાસીઓમાં આત્મગૌરવની ભાવનાનો સંચાર કરવામાં સૌરાષ્ટ્રની આ ભૂમિએ સમગ્ર રાષ્ટ્રને સાચી દિશા બતાવી છે.

મહર્ષિ દયાનંદજીની સમાજ સુધારણા પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે, મહર્ષિએ 19મી સદીમાં ભારતીય સમાજમાં વ્યાપ્ત અંધવિશ્વાસો અને કૂરીતિઓને દૂર કરવા માટેનું બીડું ઝડપ્યું હતું. તેમણે જગાવેલી ચેતનાથી રૂઢિઓ અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર થયો છે, આ સાથે તેમણે પ્રસરાવેલો જ્ઞાનનો પ્રકાશ ત્યારથી લઈને આજ સુધી દેશવાસીઓનું માર્ગદર્શન કરતો રહ્યો અને આગામી દિવસોમાં પણ કરતો રહેશે. સ્વામીજીએ બાળવિવાહ અને બહુપત્નીત્વ પ્રથાનો આકરો વિરોધ કર્યો હતો. તેઓ નારીશિક્ષણ, નારી સ્વાભિમાનના પ્રખર હિમાયતી હતા. આર્ય સમાજ કન્યા વિદ્યાલયો અને છાત્રાઓ માટે ઉચ્ચશિક્ષણ સંસ્થાનોની સ્થાપના દ્વારા મહિલા સશક્તિકરણમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી માનતા હતા કે, અસ્પૃશ્યતા દૂર કરવા માટે મહર્ષિ દયાનંદજીનું અભિયાન સમાજ સુધારણા માટે ખૂબ મહત્ત્વનું હતું. ગાંધીજીએ પણ મહર્ષિના એ અસ્પૃશ્યતા નાબૂદીના અભિયાનને સર્વાધિક મહત્વ આપ્યું હતું. આવતા વર્ષે આર્ય સમાજની સ્થાપનાને 150 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આર્ય સમાજ સાથે જોડાયેલા તમામ લોકો સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવવા સ્વામીજીના વિચારને કાર્યરૂપ આપવા સતત આગળ વધતા રહેશે, એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, સ્વામીજીના માનવતા અને સર્વ સમાવેશકતાના આદર્શને અનુસરતા દેશના જનજાતીય વિસ્તારોમાં વિદ્યાલયો ચલાવવામાં આવે છે. આદિવાસી યુવાઓ માટે કૌશલ્ય વિકાસ કેન્દ્રો ચલાવવામાં આવે છે. આ સ્કૂલો અને કેન્દ્રો સાથે નિઃશુલ્ક આવાસ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી માટેના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને બિદરાવતાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, શ્રી આચાર્ય દેવવ્રજી પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં અમૂલ્ય માર્ગદર્શન કરી રહ્યા છે, પ્રાકૃતિક ખેતી એ માનવતાના ભવિષ્ય અને સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. સ્વચ્છ જળ અને ફળદ્રુપ માટી વિના શરીર સ્વસ્થ નહીં રહી શકે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ક્લાઈમેટ ચેન્જના પડકારોનો સામનો કરવામાં પણ મદદ મળશે.

રાષ્ટ્રપતિશ્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મોત્સવ પ્રસંગે ટંકારા આવવા મળ્યું તેને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. સમગ્ર દેશવાસીઓ તરફથી તેમણે આ પાવન ભૂમિ અને મહર્ષિ દયાનંદજીને વંદન કર્યા હતા. તેમણે આ સમારોહના આયોજન બદલ દિલ્હી આર્ય પ્રતિનિધિ સભા, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ – ટંકારા તથા તમામ આર્ય સંગઠનોની સરાહના કરી હતી.

કાર્યક્રમના આરંભમાં દયાનંદ એંગ્લો વૈદિક મેનેજિંગ કમિટીના અધ્યક્ષ પદ્મશ્રી પૂનમ સૂરીજીએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશના 75 વર્ષના ઈતિહાસની આ પહેલી ઘટના છે કે, કોઈ રાષ્ટ્રપતિ ટંકારામાં મહર્ષિ દયાનંદજીને પુષ્પાંજલિ અર્પવા આવ્યા હોય. આ અવસરે જ્ઞાનજ્યોતિ મહોત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી સુરેન્દ્ર આર્યએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
રાષ્ટ્રપતિશ્રીનું આગમન થતાં જ લોકોએ ઊભા થઈને તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. બાદ રાષ્ટ્રગાનની ધૂન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ તકે આર્ય ગુરુકૂળની કન્યાઓએ વેદમંત્રોના ગાન સાથે મહર્ષિ દયાનંદજીની સ્મૃતિવંદના કરી હતી. આ સમયે સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા.

રાષ્ટ્રપતિશ્રીને રાષ્ટ્રધર્મ અને સનાતન ધર્મની જ્યોતિના પ્રતિક સમાન જ્યોતિ સ્મૃતિચિહ્ન તેમજ દયાનંદજીનું ચિત્ર તથા વેદ-સત્યાર્થ પ્રકાશનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરાયા હતા.

રૂપિયા 250 કરોડના ખર્ચે 15 એકરમાં બનશે જ્ઞાન જ્યોતિ તીર્થ

મહર્ષિ દયાનંદજીના જીવન મૂલ્યો, તત્વજ્ઞાન અને તેમણે આપેલા શિક્ષણબોધનું જ્યાં દર્શન કરી શકાય એવું જ્ઞાન જ્યોતિ તીર્થ ટંકારાની પાવન ધરા પર લગભગ રૂ. 250 કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યું છે. આ માટે રાજ્ય સરકારે 15 એકર જમીન પણ રાજકોટ-મોરબી હાઇ-વે પર ફાળવી દીધી છે. નવી ચેતના અને નવી ઊર્જાનું આ કેન્દ્ર અનેક લોકોને નવી દિશા આપશે.
આ સાથે આ સ્મારક પાછળ આવેલી ડેમી નદીમાં દયાનંદજી બાળપણમાં મિત્રો સાથે રમ્યા હતા. તે ડેમી નદી પર ચેકડેમ બનાવીને નદીમાં બારેમાસ પાણી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કલ્યાણકારી કાર્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સહયોગ કરી રહી છે.

આ સમાચારને શેર કરો