Placeholder canvas

સરકારની નવી ગાઈડલાઈન જાહેર : શનિવારથી મોરબી અને વાંકાનેરમાં રાત્રી કરફ્યુ લાગુ થશે.

10 શહેરો ઉપરાંત 17 નગરોમાં પણ રાત્રી કરફ્યુનો અમલ : તા. 29 સુધી રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે કરફ્યુ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે મુખ્યમંત્રીએ મોરબી અને વાંકાનેર સહિતના વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુ લાગુ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

હાલ જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર ,કાલાવડ, ગોધરા, વિજલપોર, નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં રાત્રિ કરફયુની જે સમય અવધિ તા.રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે.

હવે કાલથી ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૨૯ જાન્યુઆરી સુધી કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો