વાંકાનેર પાલિકાની શનિવારની સામાન્ય સભા રદ કરવાનો હુકમ કરતા પ્રાદેશિક કમિશનર
7ની બદલે માત્ર 5 દિવસ પૂર્વે જ નોટિસ મળતા કોંગ્રેસના સદસ્યો દ્વારા પ્રાદેશિક કમિશનરને બેઠક રદ કરવા માટે રજુઆત કરાઈ હતી
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની આજે શનિવારની સામાન્ય સભા રદ કરવામાં આવી છે. 7ની બદલે માત્ર 5 દિવસ પૂર્વે જ નોટિસ મળતા કોંગ્રેસના સદસ્યો દ્વારા પ્રાદેશિક કમિશનરને બેઠક રદ કરવા માટે રજુઆત કરાઈ હતી. જેને પગલે પ્રાદેશિક કમિશનર દ્વારા આ બેઠક રદ કરવામાં આવી છે.
વાંકાનેર નગરપાલીકાની સાધારણ સભા તા.૨૯ને શનીવાર યોજાનાર હતી. જેને લઈને વિપક્ષ નેતા મહંમદભાઈ રહેમાનભાઈ રાઠોડ, સદસ્યો જાગૃતીબેન ચેતનભાઈ ચૌહાણ, એકતાબેન હસમુખભાઈ ઝાલા, અશરફભાઈ અનવરભાઈ ચૌહાણ, કુલસુમબેન રજાકભાઈ તરીયા, જલ્પાબેન ભરતભાઈ સુરેલાએ પ્રાદેશિક કમિશનરને રજુઆત કરવામાં આવી હતી કે ધી ગુજરાત મ્યુન્સીપાલીટીઝ એકટ પ્રમાણે નગરપાલીકાની સામાન્ય બેઠક યોજવા માટે ચોખ્ખા સાત દીવસ ની નોટીશ દરેક સદસ્યોને મળવી જોઈએ. પરંતુ અહીં આ સાધારણ સભાની બેઠક પાંચ દિવસની નોટીસથી યોજાવા જઈ રહી છે.જે ઘી ઘી ગુજરાત મુન્સીપાલીટીઝ એકટ-કલમ ૫૧ (નગરપાલીકાની બેઠકો સંબંધી જોગવાઈઓ અને કાર્યરીતી)ની જોગવાઈનો ભંગ કરે છે માટે તે ગેરકાયદે અને નીયમ વિરૂધ્ધ છે.
આ નગરપાલીકાની વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ની બજેટ બેઠક છે. નીયમ પ્રમાણે સાધારણ સભાની બજેટની નોટીસ આપ્યા પહેલા નગરપાલીકાના દરેક સદસ્ય પાસેથી બજેટ અંગેના સુચનો માંગવા જોઈએ અહીં નગરપાલીકાના સદસ્યો પાસે કોઈ સુચનો માંગવામાં આવેલ નથી. જે નીયમ વીરૂધ્ધ અને ગેરકાદેસર છે.આ રજૂઆતને પગલે સાધારણ સભા પ્રાદેશિક કમિશનર દ્વારા રદ કરવામાં આવી છે.
આ મામલે પાલિકાના અધિકારી જણાવી રહ્યા છે કે આ ખાસ સાધારણ સભા હતી. ક્લાર્કની ભૂલને કારણે સાધારણ સભા લખાયું હતું. ઉપરથી સૂચના મળતા સભા રદ કરવામાં આવી છે.

