રાજકોટ: દિવાળીની રાત્રે જ નબીરા બન્યા બેફામ, ફોર્ચ્યુનર કારચાલકે 9 વાહનોને લીધા અડફેટે…
Rajkot: રાજ્યમાં દિવસને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો આ તરફ નબીરાઓ પણ બેફામ બન્યા હોય તેવુ લાગી રહ્યું છે. રાજકોટમાં આવા જ એક નબીરાએ ફોર્ચ્યુનર કાર લઈને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં આ નબીરાએ 8થી 9 વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, રાજકોટના કોટેચા ચોકમાં બેફામ ડ્રાઈવિંગ કરતા બ્લેક કલરની ફોર્ચ્યુનર કાર ચાલકે 8થી 9 વાહનોને ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભારે હતો કે, અકસ્માત બાદ કોટેચા ચોક આસપાસ ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો હતો. ફોર્ચ્યુનર અને એનેડવર કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હતા. સમગ્ર અકસ્માતની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ પોલીસે કારચાલક હિરેન પ્રસાદિયાની ધરપકડ કરી હતી અને કાર ગાંધીનગર પાસિંગ હોવાની માહિતી સામે આવી હતી.
ફોર્ચ્યુનર કારમાં એક મહિલા સહિત ત્રણ લોકો હાજર હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર બનાવમાં 8થી 9 વાહનોને નુકસાન થવા પામ્યુ છે, જ્યારે 5થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની સામે આવી નથી.
મોડી રાત્રે થયેલા અકસ્માતના પગલે લોકોની ભારે ભીડ થઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ સર્જાઈ હતી. અકસ્માત સમયે કારચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે હિરેન પ્રસાદિયાની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી છે.

