મોરબી જિલ્લામાં 29 માર્ચથી 31માર્ચ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી !!
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારીખ 29 માર્ચથી 31 માર્ચ સુધી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની આગાહી થયેલી છે. આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકા અનુસાર કમોસમી વરસાદથી થતાં પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તથા ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.
એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક/ વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જણાવાયું છે.