વાંકાનેર

વાંકાનેરના પાંચદ્વારકામા જમ્યા બાદ ઝેરી અસર થતા યુવાનનું મૃત્યુ, 4ને અસર

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે વાડીમાં રહી ખેતમજૂરી કરતા પરિવારને જમ્યા બાદ ફૂડપોઈઝનિંગ થતા એક જ પરિવારના પાંચ લોકોને ઝેરી અસર થયા બાદ પરિવારના મોભી યુવાનનું ઝાડા ઉલટી બાદ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ પરિવારના એક બાળક સહિત ચાર લોકોને પણ ઝાડા ઉલટી થઈ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાંચ દ્વારાકા ગામે મહમદહુસેન જલાલભાઈ કડીવારની વાડીમાં રહી ખેત મજૂરી કરતા મૂળ બડવાણી મધ્યપ્રદેશના વતની ખેત મજૂર પરિવારે સવારે રસોઈ બનાવ્યા બાદ બપોરે બધાએ સાથે ભોજન કર્યું હતું. બાદમાં ફૂડ પોઇઝનિંગને કારણે તમામ સભ્યોને ઝેરી અસર થતા કુલ પાંચ સભ્યોને ઝાડા ઉલટી થતા સારવાર માટે સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અનિલભાઈ છગનભાઇ ડાવર ઉ.34 નામના ખેત મજૂરનું મૃત્યુ નીપજ્યું હતું. ફૂડ પોઇઝનિંગ થતા મૃતકના પત્ની, પુત્ર અને તેમની સાથે રહેતા સંબંધી એવા બે વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા સારવાર માટે વાંકાનેર સિવિલમાં ખસેડાયા હતા.

આ સમાચારને શેર કરો