સાયલા પાસે ફિલ્મીઢબે હુમલો: હાઈવે પર થઈ ગયો ટ્રાફિકજામ

સાયલાના ડોડીયા ગામના બ્રિજ પાસે મારા મારીની ઘટના બની હતી. 12 વર્ષ પહેલાની અદાવતમાં અમદાવાદના એક શખ્સને સાયલા હાઈવે પર આંતરી તેની કારમાં તોડફોડ કરી હતી. જે બાદ ત્રણ લોકોએ લાકડી લઈ યુવક પર તૂટી પડ્યા હતા, જાહેરમાં ઢોર મારમાર્યો હતો. આટલું જ નહીં યુવક પાસેથી રૂ. 5 લાખની સોનાની ચેન અને રોકડની પણ લૂંટ કરી હતી.

આ ઘટના બનતા નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના પણ દ્દશ્યો સર્જાયા હતા. આ મામલે કુલ 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યાં મુજબ અમદાવાદના થલતેજમાં રહેતા રઘુભાઈ માંગુડા તેમના મિત્રો સાથે દ્વારકા ખાતે દર્શન કરવા ગયા હતા. જ્યાથી પરત અમદાવાદ આવી રહ્યા હતા. ત્યારે ચોટીલા પાસે ડોળીયા ગામના બ્રિજ નજીક પહોંચ્યા તે વખતે ઉમરડા ગામના વેરશી તરગટા, ગોપાલ તરગટા તેમજ રણછોડ તરગટા અને અજાણ્યા ચારેક લોકોએ આવીને રઘુભાઈ કઈ સમજે તે પહેલા જ તેઓની ગાડી ઉપર લાકડીઓના ઘા મારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા.

એક શખ્સે આવીને રઘુભાઈને જમીન પર પછાડી દીધા હતા. જે બાદ ગોપાલ, વેરશી અને રણછોડે આવીને લાકડી લઈ રઘુભાઈ પર તૂટી પડ્યા હતા. જાહેર રોડ પર ઢોર માર મારી રઘુભાઈના હાથ પગ તોડી નાખ્યા હતા. તેમજ ગળામાં પહેરેલ સાડા સાત તોલાનો સોનાનો ચેઈન, સોનાનુ ચગદુ તેમજ ખીસ્સામાં રહેલ રોકડ બળજબરીથી કાઢી લઈ તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા. જતા જતા અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનામાં યુવકને પગમાં ગંભીર ઈજાપહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવનું કારણ એવું છે કે આજથી બારેક વર્ષ પહેલા વેરશી તરગટા માલઢોર લઈ આવ્યાં હતા. તે સમયે રઘુભાઈને દુધની ડેરી હોય જેથી દુધ ભરવા બાબતે બોલાચાલી અને ઝગડો થયો હતો. જે બાબતનું મનદુખ રાખી અને કાવતરૂ રચીને માર માર્યો હતો. તેમજ સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી.

તે વખતે વેરશીભાઇ શામળાજી તરગટા, ગોપાલભાઈ વેરશીભાઈ તરગટા અને રણછોડભાઈ શામળાજી તરગટા અને અન્ય ચાર અજાણ્યા શખ્સો મળી કુલ સાત લોકોએ એમની ગાડીની વોચ રાખી ગુનાહીત કાવતરૂ રચી ફરીયાદીની પાછળ આવી તમામ આરોપીઓએ લાકડીથી ફરયાદીની ગાડીના કાચ તોડી નુકશાન કરી ફરીયાદીને ગાડીમાંથી નીચે ઉતારી આડેધડ ઘા મારી બન્ને હાથે તથા બન્ને પગે ગંભીર ઈજાઓ કરી તથા શરીરે મુંઢ ઈજા કરી ફરીએ ગળામાં પહેરેલ સાડા સાત તોલા વજનની સોનાની ચેઇન ક્રિષ્ણ ભગવાનના પેંડલ વાળી કિંમત રૂ. 5,00,000 તથા રોકડા રૂ. 14,000 મળી કુલ રૂ. 5,14,000ની ધાડ પાડી લઈ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાયલા પોલીસ મથકે સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો