Placeholder canvas

ખેડૂત આંદોલન: રૂપાલા સાહેબ તમે ખાલી પોલીસને હટાવી દો, ગુજરાતના ખેડૂતો જડબાતોડ જવાબ આપશે -પાલ આંબલિયા

કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 25મો દિવસ છે. ત્યારે ગુજરાતથી પણ 500થી વધુ ખેડૂતો આ અંદોલનમાં જોડાયા છે. ગુજરાતથી વધુને વધુ ખેડૂતો આંદોલનમાં જોડાય તે માટે આજે રાજકોટમાં હાર્દિક પટેલ, રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાની મિટિંગ યોજાઈ હતી. પાલ આબલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો આ આંદોલનમાં વધુને વધુ જોડાય તે માટે તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતથી 10 હજાર ખેડૂતોને દિલ્હી જવાનો ટાર્ગેટ છે. પરષોત્તમ રૂપાલા સાહેબ તમે પોલીસને હટાવી દ્યો પછી ગુજરાતના ખેડૂતો જ જડબાતોડ જવાબ આપશે અનો કોંગ્રેસને પછી જવાબ આપવાની જરૂર પણ નથી.

પાલ આંબલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી ખેડૂતોને લઈ જઈ દિલ્હી ખેડૂત આંદોલનમાં જોડવામાં આવશે. દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂતોએ 35 કિલોમીટર લાંબી ટ્રેક્ટરની લાંબી લાઈન લગાવી દીધી છે. તેમનો સામના જોતા એવું લાગી રહ્યું છે કે છ મહિના નહી છ વર્ષ સુધી લડત અધૂરી મૂકીને જાય તેમ નથી. રાજસ્થાન-હરિયાણા બોર્ડર જે છેલ્લા ચાર દિવસથી ચાલુ થઈ છે ત્યાં પણ ખેડૂતોએ બે કિલોમીટર સુધી લાઈન લગાવી દીધી છે. 10થી 12 લાખ જેટલા ખેડૂતો આંદોલનમાં જોડાયા છે. ગુજરાતના ખેડૂતો 350થી 400 જેટલા છે. બિલ પરત ખેંચવા પર ખેડૂતો અડગ બન્યા છે. જ્યાં સુધી સરકાર કૃષિ બિલ પરત નહીં ખેંચે ત્યાં સુધી દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂતોનું આદોલન ચાલુ રહેશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાતમાંથી ખેડૂતોને દિલ્હી લઈ જશે.

પાલ આંબલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કૃષિમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ગેરફાયદો ગણાવે તો રાજીનામું આપી દઈશ. પરંતુ હું કહું છું કે તમે કૃષિ કાયદા લઈને આવો હું બધા કાયદામાં ગેરફાયદા ગણાવીશ. આ બાબતે મેં કૃષિમંત્રીને સોશિયલ મીડિયામાં કહ્યું છે છતાં તેનો હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. કૃષિમંત્રીની ચેલેન્જ સ્વીકારૂ છું. તમે કહો ત્યાં આવીશ અને હું એટલા ગેરફાયદા ગણાવીશ કે તમે થાકી જશો. અન્ના આંદોલન વખતે ભાજપે તેના લોકો મોકલી આંદોલન તોડવાના પ્રયત્નો કર્યા હતા. ત્યારે આ આંદોલનને તોડવા ભાજપે ક્યાંકને ક્યાક ખાલિસ્તાનીઓની મોકલ્યા હશે.

ખેડૂત આંદોલનમાં ગુજરાતથી માલધારી મહિલાઓ પણ જોડાઈ છે. ખેડૂતો કડકડતી ઠંડી વચ્ચે ટેન્ટમાં ગુજરાતી ગીતો ગાય રહ્યાં છે તેમજ ખેડૂતો ગરબે ઘૂમી આંદોલનમાં મનોરંજન મેળવી રહ્યા છે. કૃષિ બિલ રદ કરવાની માંગ સાથે ખેડૂતો દિલ્હીમાં સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. તેમજ ગુજરાત કિસાન સંઘર્ષ સિમિતિ દ્વારા હજુ ગુજરાતથી 10 હજાર ખેડૂતો આંદોલનમાં પહોંચે તેવો તખ્તો ઘડવામાં આવી રહ્યો છે.

આ સમાચારને શેર કરો