સૌરાષ્ટ્ર

કમોસમી વરસાદથી નુકસાન થતાં વ્યથિત ખેડૂતે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું…


કલ્યાણપુર તાલુકાના માનપર ગામે એક યુવાન ખેડૂતે કમોસમી વરસાદના કારણે પાકમાં થયેલા નુકસાન અને ગોલ્ડ લોન ભરપાઈ કરવાની ચિંતામાં આવીને આપઘાત કરી લીધો હોવાનો કરુણ બનાવ સામે આવ્યો હતો.

ગોલ્ડ લોન અને પાક નિષ્ફળતાની ચિંતા

મળતી માહિતી મુજબ, કલ્યાણપુર નજીક આવેલા માનપર ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા કરશન વાવણોટિયા (ઉં.વ. ૩૭) નામના યુવાને બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ (માવઠા)ના કારણે તેમના પાકને ભારે નુકસાન થયું હતું. પાક નિષ્ફળ જતાં લોન કેવી રીતે ભરવી તેની ચિંતામાં કરશન વાવણોટિયાએ આ અંતિમ પગલું ભર્યું હતું.

તળાવમાં ઝંપલાવતા મૃત્યુ
ચિંતામાં ઘેરાયેલા યુવાન ખેડૂત કરશન વાવણોટિયાએ કપુરડી નેસ પાછળ આવેલા તળાવમાં ઝંપલાવ્યું હતું. ડૂબી જવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ મૃતકના સગા અરસી વાવણોટિયાએ ભાણવડ પોલીસને કરી હતી, જેના આધારે પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો