Placeholder canvas

આજે ૫ જૂન, એટલે પર્યાવરણ દિન: આવો પર્યાવરણની મહતા સમજીએ.

વૃક્ષમ્ શરણમ્ ગચ્છામી 

આજે 5 જૂન એટલે પર્યાવરણ દિન, તો ચાલી આજે પર્યાવરણની મહતા સમજીએ. દરેક ધર્મની દૃષ્ટિએ પર્યાવરણનું જતન, પ્રાણી-પક્ષીઓના રક્ષણનું ખૂબ મહત્વ છે. એટલે જ ધાર્મિક કથાઓ, વાર્તાઓ, પુરાણો અને પ્રસંગોમાં તે દરેકનું રક્ષણ કરવા પ્રેરાઇએ તે રીતે ઉલ્લેખ થયેલ છે. આપણી ધાર્મીક વિધિઓમાં અને રોજીંદા કાર્યોમાં પણ એટલે જ પ્રાણીઓ અને પર્યાવરણને વણી લેવામાં આવ્યું છે. દરેક ધર્મમાં એકદમ સ્પષ્ટતાથી જીવ માત્રની રક્ષા કરવાનું અને પંચમહાભુતનું રક્ષણ કરવાનો સંદેશો આપવામાં આવ્યો છે. આપણા શાસ્ત્રોમાં અનેક જગ્યાએ પશુ-પક્ષીઓને ભગવાનના વાહન, મિત્ર અને મદદ કરતાં તરીકે દર્શાવ્યા છે. એટલું જ નહીં પરંતુ આપણે દરેક કુદરતી પરિબળોના રક્ષણ કરીએ તે માટે આપણા શાસ્ત્રોએ તેમને દેવી દેવતાઓનું સ્વરૂપ આપ્યું છે. જેમ કે…પાણી માટે જળદેવી, જંગલ માટે વનદેવી, વાયુ માટે પવનદેવ, પૃથ્વી માટે ઘરતીમાં, વરસાદ માટે મેઘરાજ, ભુર્ગભ માટે પાતાળદેવ, સમુદ્ર માટે દરીયાલાલ કે સમુદ્ર દેવ વગેરે… આ વાત ફકત સનાતન હિન્દુ ધર્મમાં કે દેશમાં છે તેવું નથી. દરેક ધર્મમાં કુદરતી પરીબળો અને પક્ષી-પ્રાણી સંરક્ષણ માટે આવી વાતો કહેવાયેલી છે.

  • રામાયણમાં ગરૂડ, હનુમાનજી, રામસેતુ સમયે ખીસકોલી વિગેરે પ્રાણીઓએ ભગવાન શ્રી રામની મદદ કરેલ.
  • હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર ગણી છે. કારણ કે તેમાં તેત્રીશ કરોડ દેવતાનો વાસ છે. ગાયનું દૂધ અનન્ય છે. આપણે ગાયની પુજા કરીએ છીએ. 
  • ગીતાજીમાં ભગવાને પોતાને પ્રાણીઓમાં સિંહ અને વૃક્ષોમાં પીપળા સાથે સરખાવેલ છે.
  • જગન્નાથપુરીમાં બાવાઓએ તેમને ભાજી તોડવાનું કહેવામાં આવ્યું ત્યારે શ્રી નીલકંઠે કહયું હતું, ‘ભાજીમાં જીવ છે માટે હું નહીં તોડું’, ભગવાન સ્વામીનારાયણે પોતાના સંતાને રોજ પાંચ વ્યક્તિને સદાચારી બનાવવાનો આદેશ આપ્યો હતો પણ જો વ્યકિત ન મળે તો પાંચ ઝાડને વર્તમાન ધરાવવવાની આજ્ઞા કરી હતી, આથી ઝાડમાં પણ જીવ છે.
  • શંકર ભગવાન સાપ પહેરે છે. આપણે નાગપંચમીની ઉજવણી કરીએ ત્યારે નાગની પુજા કરીએ છીએ.
  • પિતૃતર્પણ સમયે કાગડાને વાસ નાંખીએ છીએ, વટ સાવિત્રીના વ્રતમાં વડલાની પૂજા અને પરિક્રમા કરીએ છીએ.
  • ભરપૂર ઓકસીજન મેળવવા જંગલમાં પરિક્રમાં કરીએ છીએ. 
  • પીપળામાં બ્રહમા-વિષ્ણુ-મહેશ તેમજ પિતૃઓનો વાસ છે, એટલે જ આપણે પીપળાને પાણી રેડીએ છીએ.
  • સિંહ અંબેમાતાજીનું આસન છે, મોર કાર્તિકેયનું વાહન છે, ગાયત્રી માતા હંસ પર બીરાજે છે, હાથી ગણેશનું સ્વરૂપ છે, ઉંદર ગણેશજીનું વાહન છે.
  • પાણીનું મહત્વ સમજાવવા નદીને મા કહી છે. ગંગામાંને સૌથી પવિત્ર નદી કહી છે.
  • પરમ કૃપાળુ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાને પાંચ વખત પશુ યોનીમાં અવતાર ધારણ કરેલ છે. નૃસિંહ અવતાર (સિંહ), મત્સ્ય અવતાર (માછલી), વરાહ અવતાર (જંગલી ભુંડ), કૃમા અવતાર (કાચબો) અને હાયાગ્રીવ અવતાર (ઘોડો) તેમજ વનસ્પતિનું મહત્વ સમજાવવા ભગવાને ધનવંતરી અવતાર પણ લીધો છે. આપણા ઘરમાં રોટલી બનાવીએ ત્યારે પહેલી રોટલી ગાય, બીજી કુતરા માટે કાઢી લઇએ છીએ.
  • આપણા ધર્મ અનુસાર પ્રાણી-પક્ષીઓના રક્ષણાર્થે ગૌશાળા, પાંજરાપોળ, ચબુતરા બનાવીએ છીએ.
  • પારસી ધર્મમાં મૃત્યુ થયા પછી શરીર ગીધ,સમડીને ખોરાકમાં ઉપયોગ થાય તે માટે પાણી વગરના કુવામાં નાંખવામાં આવે છે. 
  • ખેતર ખેડતા પહેલા અને નવું બીડીંગ બનાવવાનું ચાલુ કર્યા પહેલા આપણે ધરતી માતાજીની પૂજા કરીએ છીએ.
  • આપણા જ દેશમાં નહીં પરંતુ દરેક દેશમાં અને તેના ધર્મમાં કોઇને કોઇ પ્રાણીને પવિત્ર ગણવામાં આવે છે અને તેની પુજા થાય છે. જેમ કે ફીનલેન્ડમાં રીંછ, સાઉથ વીયેટનામમાં વ્હેલ માછલી અને થાઇલેન્ડમાં હાથી. 

વૃક્ષારોપણ પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો-જંગલો આવશ્યક અને અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો કાર્બન ડાયોકસાઇડ શોષી પ્રાણવાયુ આપે છે. ઉપરાંત તેની આસપાસ ઠંડક રહે છે. ઘનિષ્ઠ વૃક્ષારોપણની તાતી જરૂરીયાત છે. આ કાર્યની જવાબદારી માત્ર સરકારની જ નથી આપણી પણ છે. વૃક્ષારોપણ માટે થોડી દિર્ઘદ્રષ્ટિથી વિચારીએ, માત્ર ઉત્સાહ કે આવેગમાં આવી કરવામાં આવેલ વૃક્ષારોપણ ધાર્યા પરીણામો નથી આપતું. જો તેમ જ હોત તો આજે ગુજરાતની કુલ જમીનના ૩૩% કે તેથી વધુ વૃક્ષાચ્છાદિત હોય, આ માટે સારૂ પરીણામ મેળવવા હું અને તમે આવી બાબતોનું ધ્યાન રાખીએ.

  • વૃક્ષારોપણ માત્ર ચોમાસામાં જ થાય તેવા ખ્યાલમાંથી બાહર આવીએ. 
  • પાણીની વ્યવસ્થા થઇ શકે ત્યાં, ગમે ત્યારે વૃક્ષારોપણ કરીએ,
  • બને ત્યાં સુધી સુરક્ષિત સ્થળો પસંદ કરીએ, જેમ કે…સ્મશાન ભૂમિ, કમ્પાઉન્ડ દિવાલવાળી શાળાઓ, દવાખાના, થીયેટર, મોલ કે ટ્રાફિક આઇલેન્ડસ ઉપર વધમાં વધુ વૃક્ષો વાવીને તેની જાળવણી કરીએ.
  • ઘરના બગીચામાં અને જાહેર સ્થાનો પર ક્ષુપ પ્રકારની વનસ્પતિ વાવી શકીએ. જેમ કે લીંબુ, ગલતોરો , જાસુદ, ચાંદની, કરેણ વિગેરે.. 
  • ઇલેકટ્રીક તાર પસાર થતાં હોય બરાબર તેની નીચે વૃક્ષારોપણ ન કરીએ.
  • ઘરમાં—બગીચામાં એવા ફળાઉ વૃક્ષની પસંદગી કરવી જે ઘરને છાંયો આપે, પક્ષીઓને આશ્રય આપે અને જેના પાન ઓછા ખરતા હોય.
  • જાહેર સ્થાનો પર ઢોર ન ખાય તેવી વૃક્ષની જાત પસંદ કરવી..જેમ કે અરડુશો, ચંપો, પનેરવો, સીતાફળ, ચાંદની…વિગેરે.
  • નાશ પામતા હોય તેવા વૃક્ષોને સંપૂર્ણ સુરક્ષિત રાખી શકીએ તેવા સ્થાનો પર વાવીએ.. જેમ કે ચંદન, કડોયો, ભીલામો, ગુગળ, રૂખડો વિગેરે..
  • આયુર્વેદિક ગાર્ડન બનાવીએ. જેમા ગરમાળો, અરડૂસી, લીંડીપીપર, મામેજવો, નગોડ, અર્જુન, દૂધલો, ઇન્દ્રજવ વિગેરે… 
  • ફાર્મ હાઉસ જેવી જગ્યામાં નાળિયેર, લીંબુ, સરગવો, સીતાફળ, જામફળ, આંબો, ક્ષેતર, વિગેરેનું રોપણ કરીએ. પક્ષીઓ ખૂબ જ આવશે.
  • ઘરની આસપાસ, બાલ્કનીમાં કે અગાસી પર શાકભાજી આપે તેવા છોડ વાવીએ. 
  • ઘરનો સેન્દ્રીય કચરો, એંઠવાડ ભેગો કરી ખાડામાં દાટી ઘરના વૃક્ષો-છોડને માટે ખાતર તરીકે ઉપયોગ કરીએ.

વૃક્ષમ્ શરણમ્ ગચ્છામી મિતલ ખેતાણી (રાજકોટ)

આ સમાચારને શેર કરો