વાંકાનેરસૌરાષ્ટ્ર

ભાજપના સાંસદ કેસરીદેવસિંહે ખરીદેલી જમીનનો વિવાદ…

રાજકોટ: રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટ પાસે ખરીદવામાં આવેલી ૧૭ વીઘા જમીન અંગે ઊભો થયેલો કાનૂની વિવાદ કલેક્ટર કોર્ટમાં પહોંચ્યો હતો.

જમીનના સીધી લીટીના વારસદારે મામાઓ સામે નામ છુપાવીને જમીન વેચી નાખ્યાનો આરોપ લગાવી અપીલ દાખલ કરી હતી. જોકે, રાજકોટ કલેકટરે આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે વેચાણ દસ્તાવેજ રદ કરવા કે વારસાઈ હક્ક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટની છે, મહેસૂલી કોર્ટની નહીં. કલેક્ટરે મદદનીશ કલેક્ટરના હુકમને કાયમ રાખી રિવિઝન અરજી ફગાવી દીધી છે.

કેસની વિગતો અનુસાર, હિરાસર ગામના જૂની શરતના રેવન્યુ સર્વે નંબર ૩૪ની ૨.૨૫ હેક્ટર (આશરે ૧૭ વીઘા) જમીન મામદભાઈ સલેમાનભાઈ ચલાંગા સહિતના સંયુક્ત ખાતેદારોના નામે ચાલતી હતી. જે વેચાણ દસ્તાવેજથી રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા અને દશરથસિંહ સજનસિંહ જાડેજા સહિતના ત્રણ ખરીદદારોએ ખરીદી હતી, જેની વેચાણ નોંધ નંબર ૩૭૩ પણ મંજૂર થઈ ગઈ હતી.

સ્વ. સલમાબેન હારૂનભાઈના વારસદાર રેશ્માબેન હનીફ વરોધ દ્વારા મદદનીશ કલેકટર અને ત્યારબાદ કલેક્ટરમાં રિવિઝન અરજી દાખલ કરીને આક્ષેપ કરાયો હતો કે, વર્ષ ૨૦૨૧માં તેમના મામાઓએ વારસાઈ નોંધ નંબર ૩૫૬ ચડાવતી વખતે તેમની માતા સલમાબેનનું નામ જાણી જોઈને છુપાવી દીધું હતું. તેમની કોઈ સંમતિ કે નોટિસ આપ્યા વગર જ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. આ સામે સાંસદના વકીલે દલીલ કરી હતી કે, અપીલ દાખલ કરવામાં આશરે ૪ વર્ષનો વિલંબ થયો છે, જેનો કોઈ યોગ્ય ખુલાસો આપવામાં આવ્યો નથી. રાજકોટ કલેક્ટરે રેવન્યુ રેકોર્ડ ચકાસીને તારણ આપ્યું હતું કે વારસાઈ નોંધમાં નામ છુપાવવાની તકરાર જમીનનું વેચાણ થયાના બે વર્ષ બાદ કરવામાં આવી છે. હાલમાં રજિસ્ટર્ડ દસ્તાવેજથી ત્રાહિત પક્ષકારોના હિતો ઊભા થઈ ચૂક્યા છે. તેથી વેચાણ દસ્તાવેજ રદ કરવો કે અરજદાર કાયદેસરના વારસદાર છે કે કેમ તે નક્કી કરવાનો અધિકાર માત્ર સિવિલ કોર્ટ ધરાવે છે.

મહેસૂલી કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. સાંસદના વકીલોએ રજૂઆત કરી હતી કે, અરજદાર દ્વારા ખોટો વિવાદ ઊભો કરીને ભાગીદારો પાસેથી આર્થિક વળતર મેળવવાના ઈરાદે જ આ અરજી કરવામાં આવી હોય તેમ સ્પષ્ટ જણાય છે.

આ સમાચારને શેર કરો