ગુજરાત

સુરેન્દ્રનગર: બજાણા પોલીસ મથકમાં PSI સહિત 7 પોલીસકર્મીઓ સામે નોધાયો ગુનો, એન્કાઉન્ટરમાં પિતા-પુત્રનું થયું હતું મોત

ગુજરાતના પોલીસબેડામાં હડકંપ મચ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથકમાં PSI સહિત 7 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના ગેડિયામાં પિતા અને પુત્ર એન્કાઉન્ટર કેસમાં 4 વર્ષ બાદ PSI સહિત 7 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ગેડિયામાં હનીફખાન અને તેના પુત્ર મદીનખાન પર પોલીસે એન્કાઉન્ટર કર્યું

ગેડિયામાં હનીફખાન અને તેના પુત્ર મદિનખાન પર પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. સમગ્ર મામલો કોર્ટ સમક્ષ ગયો હતો. કોર્ટના આદેશ પછી PSI વીરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ બજાણા પોલીસ મથકમાં મોડી રાત્રે ગુનો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે ટૂંક જ સમયમાં PSI સહિત 7 પોલીસકર્મીઓની ધરપકડ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ગુનો દાખલ થયો તે પોલીસકર્મીઓના નામની યાદી

વિરેન્દ્રસિંહ જાડેજા – PSI, રાજેશ સવજીભાઈ, શૈલેશ પહલાદભાઈ, કિરીટ ગણેશભાઈ, દિગ્વિજયસિંહ, ગોવિંદભાઇ, પહલાદ પ્રભુભાઈ

શું છે સમગ્ર કેસ?

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પાટડીના ગેડિયા ગામમાં વર્ષ 2021માં ચકચારી એન્કાઉન્ટરમાં ગુજસીટોકના આરોપી મૃતક હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો સામે કુલ 86 ગુના નોંધાયેલા હતા. જો કે 59 ગુનામાં તો તે વોન્ટેડ હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને ઝડપી લેવા માટે ગયા ત્યારે તેણે પોલીસ પર પણ હુમલો કર્યો હતો, જેથી તેની વળતી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું જેમાં હનીફ ખાન અને તેના પુત્ર મદીનનું મોત નિપજયું હતું.

પરિવારજનો દ્વારા એન્કાઉન્ટર નકલી હોવાના આક્ષેપ કરાયા

આ હુમલામાં PSI વીરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસ કર્મી ઘાયલ થયા હતા. જોકે, પરિવારજનો દ્વારા એન્કાઉન્ટર નકલી હોવાના આક્ષેપ કરાયા હતા અને મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ મામલે પોલીસ સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. ત્યારબાદ હવે ધ્રાંગધ્રા કોર્ટે પોલીસ કર્મચારીઓ પર ફરિયાદનો આદેશ આપ્યો છે.

આ સમાચારને શેર કરો