કોલેજના છોકરાઓના ઝઘડામાં વાલીઓ બાખડયા: આધેડ પર છરીથી હુમલો.
રાજકોટ: સંતાનોના ઝઘડાનો ખાર રાખી ભગવતીપરમાં મોબાઇલની દુકાન ધરાવતા પ્રભાતભાઈ આહીર પર ગૌરાંગ ગોસ્વામીએ ઝઘડો કરી છરીથી હુમલો કરતાં સારવારમાં માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગેની વિગત અનુસાર ભગવતીપરામાં રહેતાં પ્રભાતભાઈ રામભાઈ બોરીચા(ઉ.વ.45) ગત રોજ સાંજે બ્રિજ પાસે આવેલી શ્યામ મોબાઈલ નામની દુકાને હતાં ત્યારે દુકાને ઘસી આવેલા ગૌરાંગ ગોસ્વામી નામના શખ્સે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા.
પ્રભાતભાઈ ને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. વધુમાં ઇજાગ્રસ્તના પડોશીએ જણાવ્યું હતું કે પ્રભાતભાઈ ભગવતીપરામાં મોબાઈલની દુકાન ધરાવે છે. તેમનો પુત્ર પૃથ્વી પીડીએમ કોલેજમાં અભ્યાસ કરે છે તેમની સાથે અભ્યાસ કરતાં સાથી મિત્રએ કોલજમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો. જે બાબતનો ખાર રાખી ઝઘડો કરનાર યુવકના મામા ગૌરાંગ ગોસ્વામી દુકાને ઘસી આવ્યા હતાં. અને મારા ભણેજ સાથે કેમ તારા પુત્રએ મારામારી કરી કહી છરી ઝીંકી દીધી હતી.