Placeholder canvas

‘સ્વાગત’માં CM: નાગરિકોને રાજ્ય કક્ષાએ આવવું જ ન પડે તેવી કાર્યપદ્ધતિ અપનાવવા કલેક્ટરોને સૂચના.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજીવાર શાસન સેવા દાયિત્વ સંભાળ્યા પછી પ્રથમ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને અરજદારોની રજુઆતો સાંભળી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લા કલેકટરો અને વહીવટીતંત્રના અધિકારીઓને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે કે નાનામાં નાના માનવી, સામાન્ય માણસને પોતાની રજુઆત, સમસ્યાના સમાધાન માટે રાજય કક્ષાએ આવવું જ ન પડે તેવી પરિણામકારી કાર્યપદ્ધતિ જિલ્લા સ્તરે જ તેઓ વિકસાવે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, જિલ્લા કક્ષાની કચેરીઓમાં પ્રજાને પોતાની રજુઆતોમાં કોઇ અગવડતા ન પડે અને સમસ્યાનું યોગ્ય નિવારણ થશે જ તેવો વિશ્વાસ બેસે તેવી કાર્યપદ્ધતિ કલેકટર તંત્રમાં પ્રભાવક રીતે ઊભી થવી જોઇએ. એટલું જ નહિ, જિલ્લા કલેકટરો ગામોની મુલાકાત લઇ લોકસંપર્ક કેળવે તેવી હિમાયત તેમણે કરી હતી. સ્વાગત કાર્યક્રમમાં ડિસેમ્બર મહિનામાં જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગત મળીને 2961 જેટલી વિવિધ રજુઆતો મળી છે તેમાંથી 2546 જેટલી રજુઆતોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું છે. દર મહિનાના ચોથા ગુરૂવારે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે.

મુખ્યમંત્રી સ્વયં આ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહી રજુઆત કર્તાઓની રજુઆતો સાંભળે છે અને તેના યોગ્ય નિવારણ માટેના સૂઝાવો-સૂચનો સંબંધિત તંત્રવાહકોને આપે છે. મુખ્યમંત્રી સમક્ષ આજે રાજ્ય સ્વાગતમાં વિવિધ જિલ્લાઓના 9 જેટલા નાગરિકોની રજુઆતો આવી હતી. તેમણે આ રજુઆતો શાંતિપૂર્ણ રીતે સાંભળીને સંબંધિત જિલ્લા તંત્રવાહકોને સત્વરે યોગ્ય કરવા અને તેની જાણ મુખ્યમંત્રી કાર્યાલયને કરવા પણ સૂચન કર્યુ હતું. ગુરૂવાર, તા.રર મી ડિસેમ્બરે યોજાયેલા આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સચિવ અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સમક્ષ રજુ થયેલા પ્રશ્નો-રજુઆતો સંદર્ભની પૂરક વિગતો સાથે ગૃહ, ઊર્જા, મહેસૂલ, સિંચાઇ વગેરે વિભાગોના અધિક મુખ્ય સચિવો, સચિવો અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

આ સમાચારને શેર કરો