Placeholder canvas

રાજકોટ: CA નૈતિકે દુનિયાને અલવિદા કહીને પાંચ લોકોને આપ્યું નવજીવન.

રાજકોટના ઈતિહાસમાં પહેલીવાર તમામ અંગોનું દાન

રાજકોટ : ગઈકાલે જામનગર રોડ ઉપર બાઈક પર પસાર થઈ રહેલા 28 વર્ષીય નૈતિક જાજલ નામના યુવકને અકસ્માત નડતાં તેને તાત્કાલિક કૂવાડવા રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તમામ પ્રકારના રિપોર્ટ તેમજ સારવાર કરવામાં આવ્યા બાદ નૈતિક બ્રેઈન ડેડ થયો હોવાનું નિદાન થતાં પરિવારજનો ભાંગી પડ્યા હતા. દુ:ખની આ ઘડીમાં પણ હિંમત હાર્યા વગર નૈતિકના માતા-પિતા તેમજ પરિવારજનોએ હતભાગીના તમામ અંગોનું દાન કરવા માટે તૈયારી દર્શાવતાં ફરજ પર રહેલા તબીબોએ તાત્કાલિક ઓપરેશનની તૈયારી શરૂ કરી દીધી હતી.

મોડીરાત સુધી ચાલેલી ઓપરેશન પ્રક્રિયા બાદ મૃતક નૈતિકના હૃદયને યુ.એન.મહેતા હોસ્પિટલ-અમદાવાદ, તેના બન્ને ફેફસાને એમજીએમ હોસ્પિટલ-ચેન્નાઈ અને તેની બન્ને કિડની તેમજ લીવરને સિવિલ હોસ્પિટલ-અમદાવાદમાં મોકલવામાં આવ્યા છે. આટલા અંગ મળી જવાને કારણે પાંચ લોકોને નવજીવન મળશે.

નૈતિકના પિતા કે જે રાજકોટમાં પાનનો ગલ્લો ધરાવે છે તે તેમજ તેના માતા સહિતના પરિવારજનોને અંગદાન અંગે ઑર્ગન ડૉનેશન ફાઉન્ડેશન-રાજકોટના ડૉ.તેજસ કરમટા, ડૉ.દિવ્યેશ વિરોજા, ડૉ.સંકલ્પ વણઝારા ઉપરાંત સામાજિક કાર્યકર મીત્તલભાઈ ખેતાણી અને ભાવનાબેન મંડલી દ્વારા સમજાવટ કરવામાં આવતાં તેમણે તુરંત જ અંગદાન માટે સહમતિ આપતાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. નૈતિકના દાન થનારા તમામ અંગો ફિટ હોવાથી તેને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ અને ચેન્નાઈ મોકલવામાં આવશે.

ડૉ.તેજસ કરમટાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં રાજકોટની અંદર 104 અંગોનું દાન થયું છે પરંતુ તમામ અંગો જેમાં લીવર કીડન, ફેફસા, હૃદય સહિતનું દાન થયું હોય તેવું આ પ્રથમ અંગદાન છે. આ સાથે જ રાજકોટમાં 105મું અંગદાન થયું છે સાથે સાથે તબીબો તેમજ સામાજિક કાર્યકરોની અંગદાન પ્રત્યેની ઝુંબેશ પણ રંગ લાવી રહી છે જેના કારણે અંગોની જરૂરિયાત ધરાવતાં લોકોને નવજીવન મળી રહ્યું છે.

આ સમાચારને શેર કરો