દેશ-દુનિયા

Breking news: સૂરોના સમ્રાજ્ઞી આશા ભોસલે 92 વર્ષની વયે અનંતની યાત્રાએ: સંગીત ક્ષેત્રે કદી ન પૂરાય તેવી ખોટ

Asha Bhosle: ભારતીય સંગીત જગત માટે આજે એક યુગનો અંત આવ્યો છે. દાયકાઓ સુધી પોતાના મખમલી અવાજથી કરોડો દિલો પર રાજ કરનાર સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. સંગીત જગતની આ ‘આશા’ એ આજે મુંબઈની જાણીતી બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

સંગીત ક્ષેત્રે કદી ન પૂરાય તેવી ખોટ
આશા ભોસલે છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે તેમની તબિયત વધુ લથડી હતી, અને ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નથી. તેમના નિધનના સમાચાર વહેતા થતા જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સહિત સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી છે. મળેલી માહિતી મુજબ આશા ભોસલેના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે. આવતીકાલે સાંજે 4 વાગે મુંબઈના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેમાં રાજકીય નેતાઓ અને બોલિવૂડની મોટી હસ્તીઓ હાજર રહે તેવી શક્યતા છે.

કારકિર્દી પર નજર
આશા ભોસલેએ માત્ર હિન્દી જ નહીં, પણ ગુજરાતી સહિત ભારતની અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. તેમની વિશેષતાઓ શાસ્ત્રીય સંગીત હોય, ગઝલ હોય કે પછી ચુલબુલા આઈટમ સોંગ્સ, આશાજીએ દરેક શૈલીમાં પોતાની છાપ છોડી છે. સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ્સ કરવા બદલ તેમનું નામ ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં પણ નોંધાયેલું છે. તેમને ભારત સરકાર દ્વારા ‘પદ્મ વિભૂષણ’ અને ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ જેવા સર્વોચ્ચ સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. સ્વરની દેવી આશા ભોસલે ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ગીતો અને તેમનો અવાજ હંમેશા સંગીતપ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે.”

આ સમાચારને શેર કરો