મોરબીના વધુ 5 ગામો બેલા, રંગપર, જસમતગઢ, પીપળી અને શાપરમાં ભાજપના વિરોધમાં બેનરો લાગ્યા
વીજલાઈન મુદ્દે માંગણીઓ પૂરી ન થાય તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત માંગવા ન આવવા ગ્રામજનોની કડક ચેતવણી
મોરબી : મોરબી જિલ્લામાં “ગુજરાત ખેડૂત સત્યાગ્રહ” અંતર્ગત વીજલાઈન મુદ્દે ખેડૂતોનો વિરોધ દિન-પ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. તારીખ 03/08/2026 ના રોજ મોરબી તાલુકાના વધુ 5 ગામો બેલા, રંગપર, જસમતગઢ, પીપળી અને શાપરમાં ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા ભાજપના બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે.
ગામ સમસ્ત દ્વારા લગાવાયેલા આ બેનરોમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ખેતીની જમીનમાંથી પસાર થતી વીજલાઈન અંગે ખેડૂતોની માંગણી મુજબ યોગ્ય પરિપત્ર કરવામાં નહીં આવે તો આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે કે નેતાઓએ આ ગામોમાં મત માંગવા આવવું નહીં.
આજે બેલા, રંગપર, જસમતગઢ, પીપળી અને શાપર ગામ ખાતે પુરુષ તેમજ મહિલા ખેડૂતો એકત્રિત થયા હતા. ગ્રામજનોએ હાથમાં બેનરો પ્રદર્શિત કરીને “જય જવાન, જય કિસાન”, “ખેડૂત એકતા ઝિંદાબાદ” અને “ખેડૂત ક્રાંતિ ઝિંદાબાદ”ના બુલંદ નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.


