Placeholder canvas

ચોટીલાનાં આણંદપુર રોડ પર કાર-રીક્ષા વચ્ચે અકસ્માત: 3 બાળકોને ઈજા.

ચોટીલાના આણંદપુર રોડ પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 બાળકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલ ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યારે અકસ્માત સર્જનાર કારનો ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો. આ અંગે ચોટીલા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલા તાલુકાના સણોસરા ગામે રહેતા સંજયભાઇ હમીરભાઇ સોલંકીના પત્ની પારૂલબેન, ભાભી ચંપાબેન, દીકરો મહાવિર, ભત્રીજો ધર્મેશ, ભત્રીજી અંજલી તેમજ ભાણી અંજલીબેન સહીતનાઓ ચોટીલાથી રિક્ષામાં બેસી સણોસરા તરફ આવી રહ્યાં હતાં. તે દરમિયાન ચોટીલા-આણંદપુર રોડ પર આવેલા રેતીના પ્લાન્ટ નજીક પાછળથી આવતી કારના ચાલકે અકસ્માત સર્જતા રિક્ષામાં સવાર ધર્મેશ, અંજલી અને રોશનીને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી વાહનમાં ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યારે કારનો ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો. આ મામલે સંજયભાઇએ કારના ચાલક વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો