બે કારના અકસ્માત બાદ કારમાં લાગી આગ, એક જ પરિવારના 7 સભ્યોના મોત
સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર ઝમર ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક કારમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 સભ્યોના કરૂણ મોત નીપજ્યા હોવાના દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો, અને તેઓ જીવતા ભડથું થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર કોઠારિયા ગામ નજીક આ અકસ્માત થયો. એક કાર કડુ ગામથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, જ્યારે બીજી કાર સામેથી આવતી હતી. બંને વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં એક કાર રોડની સાઈડમાં ખાબકી અને સળગી ઉઠી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કારમાં સવાર લોકોના મૃતદેહો બળીને ભડથું થઈ ગયા, જેના કારણે ઓળખ પણ મુશ્કેલ બની છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જોકે મોટાભાગના મૃતદેહો બળી ગયેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત ઝમર અને દેદાદરા ગામ વચ્ચે થયો, જ્યાં એક કાર રોંગ સાઈડમાં આવતી હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જોકે, ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અને સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા.

