skip to content

ચોટીલામાં 24 કલાકમાં 2 હત્યા: ગુમ યુવકની લાશ મળતાં પરિવારે હત્યાના આક્ષેપ કર્યા, મફતિયાપરામાં પત્નીએ પતિનું ઢીમ ઢાળી દીધું

ચોટીલા મફતિયાપરામા યુવાનની ઘાતકી હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં યુવાનની ઘાતકી હત્યા તેની પત્નીએ જ બોથલ પદાર્થથી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઘટનાના પગલે તાકીદે ઘટનાસ્થળે પહોંચી હત્યા કરનાર પત્નીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં ચોટીલામાં છેલ્લા 24 કલાકમાં હત્યાની બે ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ચોટીલામાં ગઈકાલે ચાર દિવસથી ગુમ યુવાનની સળગેલી હાલતમાં યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બાદમાં દલિત સમાજના ટોળેટોળાએ ચોટીલા હાઈવે ચક્કજામ કરવાની સાથે હલ્લાબોલ મચાવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પડ્યાં અને ડીવાયએસપી વિશાલ રબારી સહિતનો પોલીસ કાફલો ચોટીલા દોડી ગયો હતો અને દલિત યુવાનની લાશને ફોરેન્સિક લેબમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં ચોટીલા મફતિયાપરામા યુવાનની ઘાતકી હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.

ચોટીલાના મફતિયાપરામાં એક પરિણીત પુરૂષની હત્યા કરવામાં આવી છે. અને આ હત્યા તેની પત્નીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં મફતિયાપરામાં રહેતા પુરુષને દારૂ પીધા બાદ તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા તેની જ પત્નીએ તેને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.

આ સમાચારને શેર કરો