12 હત્યા કરનારા ભૂવાનો વધુ એક કાંડ ખુલ્યો, લગ્નનું દબાણ કર્યું તો પ્રેમિકાના ટુકડા કરી નાખ્યા…
પ્રેમિકા નગ્માના ટુકડા કરીને વઢવાણથી વાંકાનેર આવીને રેલવે સ્ટેશન પાસે દાટી ગયો…
એકના ચાર ગણા કરી આપવાની લાલચ આપીને તાંત્રિક વિધિના બહાને લોકોને સોડિયમ નાઈટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દેવાના કિસ્સામાં પોલીસ તપાસ દરમિયાન એક પછી એક ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસ તપાસમાં ભુવાએ કુલ 12 લોકોની હત્યા કરી હોવાનું સામે આવતા હવે પોલીસે એક પછી એક કિસ્સાની તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસને કેટલાક મહત્વના પુરાવા હાથ લાગ્યા છે.
આરોપી નવલસિંહ ચાવડાની પૂછપરછ દરમિયાન પોલીસને જે હકીકત હાથ લાગી છે તે અંગે હવે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં નવલસિંહે કુલ 12 મર્ડર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક યુવતી નગ્માની પણ હત્યા નવલસિંહે કરી હતી. નગ્માનો પરિવાર પારિવારિક સમસ્યાને લઈને નવલસિંહ પાસે આવતો હતો. જે દરમિયાન નગ્માને નવલસિંહ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે નગ્મા લગ્ન કરવા માટે દબાણ કરતી હોવાથી નવલસિંહે નગ્માને વઢવાણ તેના ઘરે બોલાવી હતી. તેની હત્યા કરી દીધી હતી. બાદમાં તેના મૃતદેહના ટુકડા કરીને બેગમાં ભરી વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે મૃતદેહને દાટી દીધો હતો. પોલીસને જાણ થતાં પોલીસે એસડીએમની હાજરીમાં ખોદકામ કરીને કેટલાક અવશેષો શોધી કાઢ્યા છે. જો કે આ સિવાય વાત કરીએ તો કાદર અલી, તેના પુત્ર અને પત્નીનો મૃતદેહ એક રીક્ષામાંથી મળી આવ્યો હતો. જેમાંથી પોલીસે એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જ્યારે પોલીસે નવલસિંહની ધરપકડ કરી ત્યારબાદ પણ તેની ગાડીમાંથી આ જ શબ્દો સાથેની બીજી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેથી પોલીસને આશંકા છે કે આ સુસાઈડ નોટ પણ આરોપી નવલસિંહે જ લખી છે.
સુરેન્દ્રનગર ખાતે રહેતા દિપેશ પાટડીયાનો પરિવાર પણ તાંત્રિક વિદ્યા માટે અવારનવાર આ ભુવા પાસે આવતો હોવાથી ભુવાએ પૈસા અને ધરેણાં પડાવી લીધા બાદ તાંત્રિક વિધિ કરવાના બહાને સોડિયમ નાઈટ્રેટ પાવડર પીવડાવીને તેઓને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે અસલાલીના વિવેક ગોહિલની પણ હત્યા નવલસિંહે કરી હતી. વિવેક પાસેથી દોઢથી અઢી લાખ પડાવ્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને આ રૂપિયા ઘરે લઈ ગયા બાદ જાદુઈ વિદ્યાથી પોતે દોઢેક લાખ રૂપિયા લઈ આવ્યો હોવાનું તેના પરિવારજનોને જણાવ્યું હતું. જ્યારે અંજારના રાજ બાવાજી સાથે તેને ઝઘડો થતાં અદાવત રાખીને તેને પણ ચામાં સોડિયમ નાઈટ્રેટ પીવડાવી તેની હત્યા કરી દીધી હતી.
આમ એક પછી એક કિસ્સાઓમાં પોલીસની ટીમ ઝીણવટભરી તપાસ કરી રહી છે. જોકે તપાસ દરમિયાન પોલીસને કેટલાક મહત્વના પુરાવા અને વિગતો મળી આવી છે. જોકે આરોપીની સાથે અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતો કે કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ છે. જ્યારે નગ્માની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના ટુકડા કેવી રીતે કર્યા અને ક્યાં કર્યા હતા તે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.