Placeholder canvas

અલ્પેશનું અલ્ટિમેટમ: સરકાર 48 કલાકમાં ઠરાવ રદ નહીં કરે તો ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની પદયાત્રા કરવાની ચીમકી.

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી અનામત વર્ગની મહિલાઓ તરફથી એલઆરડીની પરીક્ષા મામલે તા. 1-08-2018ના રોજ સરકાર તરફથી કરવામાં આવેલો ઠરાવ રદ કરવા અંગે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જે બાદમાં સરકારે આ ઠરાવ રદ કરવાની ખાતરી આપી હતી. સરકારની આવી જાહેરાત બાદ હવે બિન-અનામત વર્ગના ઉમેદવારો ધરણા પર બેઠા છે. એટલે કે હવે સરકારના ગળામાં હાડકું બરાબરની ફસાયું છે. ત્યારે ગત વર્ષે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે હવે સરકારને આ ઠરાવ રદ કરવા માટે સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. 48 કલાકમાં સરકાર કોઈ પગલાં નહીં ભરે તો તેની સામે પદયાત્રા કરવાની ચીમકી અલ્પેશ ઠાકોર તરફથી ઉચ્ચારવામાં આવી છે. એટલે કે હવે ભાજપના નેતાઓએ જ સરકાર સામે બાંયો ચઢાવી છે.

અલ્પેશનું નિવેદન:- “નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. છેલ્લા 64 દિવસોથી ઓબીસી સમાજની દીકરીઓ આંદોલન કરી રહી છે. એક ગેરબંધારણીય ઠરાવ કરવામાં આવ્યો છે. જે ગરીબોના અધિકારો પર તરાપ મારવા સમાન અને અન્યાય કરવા સમાન છે. આ ઠરાવ સંદર્ભે રાજ્ય સરકારે ત્રણ દિવસ પહેલા તમામ આગેવાનોની બેઠક બોલાવી હતી. જેમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે આ ઠરાવ બાબતે સુધારો કરવામાં આવશે. ત્રણ દિવસ વીતી ગયા છતાં પણ આ ઠરાવ રદ નથી કરવામાં આવ્યો. રાજ્ય સરકારને નમ્ર અપીલ કરુ છું કે 48 કલાકમાં આનો નિવેડો લાવો. સરકાર કોઈ પગલાં નહીં લે તો સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરીશ.”

“પદયાત્રા સંવિધાનિક અધિકારોના રક્ષણ માટેની હશે. સંવિધાનિક અધિકારોના જતન માટે હશે. ગરીબોના અધિકારોના રક્ષણ માટે હશે. એ પછી પણ કોઈ નિવેડો નહીં આવે તો સોમવારે ગાંધીનગર પહોંચ્યા પછી આગામી રણનીતિ ઘડીશું. પરંતુ મને આશા છે કે રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરશે. છેલ્લા બે દિવસથી કેટલાક લોકો ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનું કામ કરે છે. આ લોકોને વિનંતી કે ગુજરાતમાં અશાંતિ ફેલાય તેમજ વર્ગ-વિગ્રહ થાય તેવું કોઈ કામ ન કરે.”

તમામ વર્ગને અન્યાય કરવો એ ભાજપનો એજન્ડા : કૉંગ્રેસ

અલ્પેશ ઠાકોરના અલ્ટિમેટમ મામલે પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ જણાવ્યું કે, “રાજ્યના તમામ વર્ગને અન્યાય કરવો એ ભાજપનો એજન્ડા બની ગયો છે. સરકારના ઈશારે સરકારના માણસો આંદોલનમાx જોડાઈ રહ્યા છે. સરકાર આંદોલનના નામે વર્ગ વિગ્રહ કરાવવા માંગે છે. સરકાર ઉકેલ લાવવાનને બદલે નાટક કરે છે. પ્રવર્તમાન સળગતા મુદાઓથી ધ્યાન ભટકાવવા સરકાર હિંસા કરાવી વર્ગ વિગ્રહ કરાવવા માંગે છે. ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે અનામત અને બિન-અનામત વર્ગને સામ-સામે લાવાનું કામ કર્યું છે. ભાજપ નેતાઓ આ આંદોલન પાછળ સક્રિય છે.”

આ સમાચારને શેર કરો