Placeholder canvas

કોરોનાના રેકોર્ડબ્રેક કેસ, છેલ્લા 24 કલાકમાં 1600થી વધારે દર્દીઓ, 16ના મોત

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ તેજ થયું છે. મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેમ આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક 1600 કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1607નવા કેસ નોંધાયા છે. જેની સામે 1388 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 16 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3938 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,86,446 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 69,283 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 76,20,892 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,09,251 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,09,171 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 120 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા 1607 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 325, અમદાવાદ જિલ્લામાં 28, સુરત શહેરમાં 238, સુરત જિલ્લામાં 61, વડોદરા શહેરમાં 127, વડોદરા જિલ્લામાં 40, રાજકોટ શહેરમાં 95, રાજકોટ જિલ્લામાં 44 કોરોનાના કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 96 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,636 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,86,446 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3938 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 90.90% છે.

આ સમાચારને શેર કરો