Placeholder canvas

વાંકાનેરમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો

વઘાસીયા ગામે ખેતીની જમીન પચાવી પાડી ગેરકાયદે કબ્જો જમાવનાર શખ્સ સામે જિલ્લા કલેકટરનું આકરું પગલું

વાંકાનેર : લેન્ડ ગ્રેબિંગ વિધાયક 2020 (ગેરકાયદે જમીન-મકાન-મિલકત પચાવી પાડવા વિરુદ્ધનો કાયદો) પાસ થયા બાદ મોરબી જિલ્લામાં બીજો અને વાંકાનેર શહેરમાં આ કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો છે. 2015ની સાલમાં જમીન ઉપર કરેલા ગેરકાયદે કબજોને લઈને જિલ્લા કલેકટરમાં થયેલી અરજી બાદ જિલ્લા કલેક્ટરે જ આ સંદર્ભે ફરિયાદ દાખલ કરવાનો પોલીસને હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં સર્વે નંબર ૧૯૩ પૈકી ૩ વાળી ૪ એકર જમીન વાંકાનેરના પંકજભાઈ મનજીભાઈ ધરોડિયાના દાદાએ વર્ષો પૂર્વે કિશોરસિંહ મુળરાજ સીંહ ઝાલા (રહે. ભાટીયા સોસાયટી, ચંદ્રપુર, તાલુકો વાંકાનેર વાળા)ના દાદા પાસેથી ખરીદ કરેલી હતી પરંતુ આમ છતાં આરોપી કિશોરસિંહ મુળરાજસીંહ ઝાલાએ 2015ની સાલમાં ખેતરની ઓરડીના દરવાજાના તાળા તોડી જમીનમાં પ્રવેશ કર્યો હતો અને આજ સુધી તે જમીન પર કબજો જમાવી ફરિયાદીને ટાંટિયા ભાંગી નાખવા ધમકી આપી હતી.

જેને પગલે પંકજભાઈ મનજીભાઈ ધરોડિયાએ ન્યાય મેળવવા મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ હેઠળ માથાભારે ઈસમ વિરુદ્ધ પગલાં ભરવા અરજી કરતા જિલ્લા કલેકટર મોરબી દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને આ બાબતની ફરિયાદ દાખલ કરવા હુકમ કરતા પોલીસે ફરિયાદ નોંધી છે અને નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભરાઈએ સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો